(Adrija Roychowdhury) Why Do We Celebrate New Year On January 1: હાલ દુનિયાભરમાં 1 જાન્યુઆરીના રોજ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. યુરોપ, અમેરિકા સહિત પશ્ચિમી દેશોમાં 1 જાન્યુઆરીથી નવા કેલેન્ડર વર્ષની શરૂઆત થઇ છે. નવા કેલેન્ડર વર્ષની શરૂઆત પાછળ રસપ્રદ ઇતિહાસ છે. પહેલીવાર 45 ઇ.સ. પૂર્વે 1 જાન્યુઆરી એ નવા વર્ષની શરૂઆત ગણવામાં આવી હતી. અગાઉ રોમન કેલેન્ડર માર્ચ મહિનામાં શરૂ થયું હતું. તેમાં 355 દિવસ હતા. ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે ક્યારેક વધારાનો 27-દિવસ અથવા 28-દિવસનો એક મહિનો આવતો હતો.
તે રોમન સરમુખત્યાર જુલિયસ સીઝર હતો જેણે પ્રથમ ઇ.સ. પૂર્વેના અંતમાં સત્તા પર આવ્યા પછી તરત જ કેલેન્ડરમાં સુધારો કર્યો હતો. પરંતુ જુલિયન કેલેન્ડરને લોકપ્રિયતા મળી હોવા છતાં, યુરોપના મોટાભાગના લોકોએ તેને 16મી સદીના મધ્ય સુધી સ્વીકાર્યું ન હતું.
સીઝરના કેલેન્ડરમાં પણ ગણતરીની સમસ્યાઓ હતી, જેના કારણે નવા વર્ષનો દિવસ વારંવાર બદલાતો હતો. પોપ ગ્રેગરીએ જૂલિયન કેલેન્ડરમાં સુધારો કર્યો અને 1 જાન્યુઆરીને નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે પ્રમાણિત કર્યા પછી જ તેણે ધીમે ધીમે દુનિયાભરમાં લોકપ્રિયતા મેળવી.
જૂલિયસ સીઝર દ્વારા બનાવવામાં આવ્યું કેલેન્ડર
પ્રારંભિક રોમન કેલેન્ડરની કલ્પના 8મી સદી ઈ.સ. પૂર્વેમાં રોમના સ્થાપક રોમ્યુલસ દ્વારા કરવામાં આવી હતી. નુમા પોમ્પિલિયસ, જેઓ એક વર્ષ પછી સત્તામાં આવ્યા હતા, તેમણે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના ઉમેર્યા, આ સાથે 12 મહિનાનું એક કેલેન્ડર વર્ષ બનાવ્યું.
પરંતુ આ કેલેન્ડર, જે ચંદ્રના પરિભ્રમણને અનુસરતું હતું, તે ઘણીવાર ઋતુઓ સાથે સુમેળ થાતુ ન હતુ. વધુમાં, કેલેન્ડરની દેખરેખ રાખવાનું કામ જે પોપ કે પાદરીની પરિષદને સોંપવામાં આવ્યુ હતુ, તેના પર મોટાભાગે વારંવાર ચૂંટણીની તારીખોમાં દખલગીરી કરવાનો અથવા રાજકીય કાર્યકાળ વધારવા માટે દિવસો ઉમેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
46 ઇ.સ. પૂર્વે જૂલિયસ સીઝર સત્તા પર આવ્યા બાદ તેમણે કેલેન્ડરમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો. આ માટે તેણે એલેક્ઝાન્ડ્રિયન ખગોળશાસ્ત્રી સોસિજેનસની સલાહ લીધી. સોસિજેનસ ચંદ્ર ચક્રને બદલે સૂર્યને અનુસરવાનું સૂચન કરે છે. ઇજિપ્તવાસીઓ પહેલેથી જ આ રીતે દિવસોની ગણતરી કરતા હતા.

રસપ્રદ વાત એ છે કે, સીઝરે 46 ઇ.સ. પૂર્વેમાં 67 દિવસ ઉમેર્યા જેથી 45 ઇ.સ. પૂર્વેમાં નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થઈ શકે. શરૂઆતના રોમન દેવ જાનુસને માન આપવા માટે આ તારીખ પસંદ કરવામાં આવી હતી, જેને બે ચહેરા હોવાનું માનવામાં આવે છે – એક પાછળ અને એક આગળ. પાછળની બાજુથી તેઓ ભૂતકાળ તરફ અને આગળથી ભવિષ્ય તરફ જુએ છે. આ પછી પ્રાચીન રોમના લોકોએ જાનુસને બલિદાન આપીને અને એકબીજા સાથે ભેટોની આપલે કરીને આ દિવસની ઉજવણી કરી હતી.
જો કે, યુરોપના ઘણા વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મના પ્રસાર સાથે રોમન દેવની ઉજવણીને મૂર્તિપૂજક ધાર્મિક વિધિ તરીકે જોવામાં આવી. આ કારણોસર, મધ્યયુગીન યુરોપમાં ખ્રિસ્તી આગેવાનોએ 25 ડિસેમ્બર (ક્રિસમસ) અથવા 25 માર્ચ જેવા વધુ ધાર્મિક મહત્વ ધરાવતા દિવસે નવા વર્ષની ઉજવણી કરવાનો પ્રયાસ કર્યો.
સીઝર અને સોસીજેનસ દ્વારા સૌર વર્ષમાં દિવસોની ગણતરી કરવામાં પણ ભૂલ થઈ હતી. સૌર કેલેન્ડરમાં દિવસોની વાસ્તવિક સંખ્યા 365.24199 છે, જ્યારે સીઝરની ગણતરી 365.25 છે. પરિણામે, દર વર્ષે 11 મિનિટનો અંતરાલ થયો હતો, જે વર્ષ 1582 સુધીમાં વધીને આશરે 11 દિવસ થઈ ગયો.
ઈતિહાસકાર ગોર્ડન મોયર તેમના લેખ ‘ધ ગ્રેગોરિયન કેલેન્ડર’માં લખે છે, “આ ખામી પોપ માટે સૈદ્ધાંતિક ચિંતાનો વિષય હતો, કારણ કે જો જુલિયન કેલેન્ડરને સંપૂર્ણપણે અપનાવવામાં આવ્યું હોત, તો ઈસ્ટર આખરે ઉનાળામાં ઉજવવામાં આવ્યું હોત.” આની પછી મધ્ય યુગમાં ઈસાઇ જીવન માટે શ્રેષ્ઠ અનુરૂપ કેલેન્ડરને પ્રમાણિત કરવાનો પ્રયાસ શરૂ થયો.
પોપ ગ્રેગરી XIII દ્વારા બનાવવામાં આવેલું કેલેન્ડર
કેલેન્ડરમાં સુધારો સરળ ન હતો. પોપ ગ્રેગરીએ આ હેતુ માટે ખગોળશાસ્ત્રીઓ, ગણિતશાસ્ત્રીઓ અને પાદરીઓની એક વિશિષ્ટ સંસ્થાની રચના કરી હતી. તેમની સામે મુખ્ય પડકાર એ હતો કે તે સમયે ઉપયોગમાં લેવાતા તમામ સિવિલ કેલેન્ડરનો તેમાં સમાવેશ કરવામાં આવે અને ગણતરીમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ.
જૂલિયન કેલેન્ડરની ખોટી ગણતરીઓને સુધારવા માટે, ગ્રેગોરિયન કેલેન્ડર પર કામ કરતા ઇટાલિયન વૈજ્ઞાનિક એલોયસિયસ લિલિયસે એક નવી પ્રણાલી ઘડી હતી જેના હેઠળ દર ચોથું વર્ષ લીપ વર્ષ હશે, પરંતુ સદીના તે વર્ષોને મુક્તિ આપવામાં આવી, જે 400થી વિભાજીત ન હતા. ઉદાહરણ તરીકે, વર્ષ 1600 અને 2000 લીપ વર્ષ હતા, પરંતુ 1700, 1800 અને 1900 ન હતા. આ સુધારાઓ ઔપચારિક રીતે 24 ફેબ્રુઆરી 1582ના પાપલ બુલ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમણે ધાર્મિક નેતાઓ અને વિદ્વાનોમાં ઉગ્ર ચર્ચા જગાવી હતી.

મોયર લખે છે, “આ સુધારણાનો યુગ હતો; પ્રોટેસ્ટન્ટ દેશોએ નવા કેલેન્ડરને નકારી કાઢ્યું હતું.” પરિણામે, ઇટાલી, સ્પેન અને પોર્ટુગલ જેવા કેથોલિક દેશોએ ઝડપથી નવી વ્યવસ્થા અપનાવી. ઈંગ્લેન્ડ અને જર્મની જેવા પ્રોટેસ્ટન્ટ દેશોએ તેને લગભગ 18મી સદીના અંત સુધી જાળવી રાખ્યું હતું. કેટલાક અહેવાલો સૂચવે છે કે જ્યારે ઈંગ્લેન્ડે વર્ષ 1752માં નવું કેલેન્ડર અપનાવ્યું ત્યારે દેશમાં રમખાણો થયા હતા.
ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવનાર છેલ્લો યુરોપિયન દેશ ગ્રીસ હતો. ત્યાં 1923માં કેલેન્ડર અપનાવવામાં આવ્યું હતું. અમેરિકામાં યુરોપિયન વસાહતોએ નવા કેલેન્ડરને તેમના મૂળ દેશોની જેમ નવા કેલેન્ડરને અપનાવ્યું, બિન યુરોપિયન દુનિયાના એક મોટા હિસ્સાએ પણ 20મી સદી દરમિયાન તેને અપનાવવાનું શરૂ કર્યું. ઉદાહરણ તરીકે, જાપાને 1872માં તેના પરંપરાગત ચંદ્ર – સૌર કેલેન્ડરને ગ્રેગોરિયન કેલેન્ડર સાથે બદલ્યું, જ્યારે ચીને તેને 1912માં અપનાવ્યું હતુ.
ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, ઈઝરાયેલ સહિતના કેટલાક દેશો એવા છે જ્યાં ગ્રેગોરિયન કેલેન્ડરની સાથે પરંપરાગત કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં શક કેલેન્ડર છે. જે ચૈત્ર મહિના (21/22 માર્ચ) થી શરૂ થાય છે. પરંતુ તેનો ઉપયોગ મોટા ભાગના સત્તાવાર હેતુઓ માટે ગ્રેગોરિયન કેલેન્ડરની સાથે કરવામાં આવે છે.