WTC Final 2023 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાશે. આ પહેલા રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનને લઈને ચર્ચા ચાલી રહી છે. ટીમ 4 ફાસ્ટ બોલર અને એક સ્પિનર સાથે ઉતરશે કે પછી 3 ફાસ્ટ બોલર અને 2 સ્પિનર સાથે તે મોટો સવાલ છે. રોહિત શર્માએ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વિશે મોટો સંકેત આપ્યો હતો. તેના નિવેદન પ્રમાણે આ ઐતિહાસિક મેચમાં દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને બેન્ચ પર બેસવું પડી શકે છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ ઓવલની પિચને લઇને આવી વાત કહી હતી. જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટીમ ઇન્ડિયા 4 ફાસ્ટ બોલર્સ સાથે જશે. 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ટીમ ન્યૂઝીલેન્ડ સામે 2 સ્પિનરો સામે રમી હતી. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમનો દાવ ઉંઘો પડ્યો હતો. એજબેસ્ટનમાં ફાસ્ટ બોલરોને ઘણી મદદ મળી હતી.
રોહિત શર્માએ ઓવલની પીચ અંગે શું કહ્યું?
ડબલ્યુટીસી ફાઇનલ પહેલા ઓવલની પીચ અંગે રોહિત શર્માએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે પીચ ફાસ્ટ બોલરોને મદદ કરશે. વાદળછાયું વાતાવરણ પણ રહેશે. આ સીમર્સને ઘણી હદ સુધી મદદ કરશે. 2022ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પછી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશિપ છોડી દીધી હતી. આ પછી રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો.
આ પણ વાંચો – છેલ્લા 10 વર્ષમાં ICC ની ફાઇનલમાં રોહિત શર્મા રહ્યો છે સાવ ફ્લોપ, શું આ વખતે ફટકારી શકશે રન?
કેપ્ટન તરીકે રોહિત શર્મા શું મેળવવા માંગે છે
ફાઈનલના એક દિવસ પહેલા રોહિત શર્માને પૂછવામાં આવ્યું હતું કે તે કેપ્ટન તરીકે શું હાંસલ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે હું હોય કે બીજુ કોઈ, અગાઉના ખેલાડીઓની ભૂમિકા પણ ભારતીય ક્રિકેટને આગળ વધારવાની અને શક્ય તેટલી વધુ મેચો અને ચેમ્પિયનશિપ જીતવાની હતી. મારા માટે પણ આવું જ હશે. હું મેચો જીતવા માંગું છું, હું ચેમ્પિયનશિપ જીતવા માંગુ છું. તે માટે જ તમે રમો છો. ટાઇટલ જીતવું કે અસાધારણ શ્રેણી જીતવી એ ખૂબ જ સારું રહેશે. જોકે અમે આવી બાબતો વિશે વધુ પડતું વિચારીને પોતાની ઉપર દબાણ લાવવા માગતા નથી.
દરેક કેપ્ટન જીતવા માંગે છે
રોહિત શર્માએ કહ્યું કે દરેક કેપ્ટન ચેમ્પિયનશિપ જીતવા માંગે છે, તેથી એક કેપ્ટન તરીકે હું પણ તેનાથી અલગ નથી. મારે પણ ચેમ્પિયનશિપ જીતવી છે. તેથી જ તમે ચેમ્પિયનશિપ જીતવા માટે રમો છો. જ્યારે હું સુકાનીપદ છોડું ત્યારે જો હું એક કે બે ચેમ્પિયનશિપ જીતી શકું તો તે ખૂબ જ સારું રહેશે.