Manoj Tiwary Retirement : બંગાળના સ્ટાર ક્રિકેટર મનોજ તિવારીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દિવસ બાદ યુવા ક્રિકેટરોના આઇપીએલ-કેન્દ્રિત દ્રષ્ટીકોણને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. તેણે પ્રતિભાશાળી યુવાનોના વિકાસ માટે સંતુલિત દ્રષ્ટીકોણની હિમાયત કરતી વખતે રણજી ટ્રોફી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 2011માં ચેન્નાઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની 104 રનની યાદગાર અણનમ ઈનિંગ્સ સહિત 12 વન ડેમાં 287 રન ફટકારનારા મનોજ તિવારીએ પસંદગી પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે.
મનોજ તિવારીને શાનદાર પ્રદર્શન છતા પડકારજનક તબક્કાનો સામનો કરવો પડ્યો. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હતા. તેણે ભારત માટે ત્રણ ટી-20 મેચ પણ રમી છે. એક કાર્યક્રમ દરમિયાન મનોજ તિવારીએ કહ્યું હતું કે તે સદી ફટકાર્યા પછી પણ ડ્રોપ થવા પર કહ્યું કે તે ધોની પાસેથી તેનું કારણ જાણવા માગે છે. તેણે કહ્યું કે તે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવો સ્ટાર બની શકતો હતો.
આ પણ વાંચો – રાજકોટ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ છવાયો, ભારતીય ટીમે બનાવ્યા આટલા રેકોર્ડ્સ
મનોજ તિવારીએ શું કહ્યું?
મનોજ તિવારીએ કોલકાતાની કલકત્તા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ક્લબના સન્માન પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે હું ધોનીને પૂછવા માંગુ છું કે 2011માં સદી ફટકાર્યા બાદ મને પ્લેઇંગ ઇલેવનમાંથી કેમ બહાર કરવામાં આવ્યો? મારામાં રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા હીરો બનવાની ક્ષમતા હતી, પરંતુ તે બની શક્યો નહીં. આજે જ્યારે હું જોઉં છું કે ટીવી પર ઘણા લોકોને વધુ તકો મળી રહી છે, ત્યારે મને દુ:ખ થાય છે.
રણજી ટ્રોફીની ટિપ્પણી બદલ 20% દંડ ફટકારવામાં આવ્યો
મનોજની વાતો ખેલાડીઓ સામે આવનાર પડકારોને ઉજાગર કરે છે, જ્યાં ટી-20 ફોર્મેટ ખાસ કરીને આઇપીએલનું કદ વધ્યું છે. લગભગ બે દાયકા સુધી બંગાળ ક્રિકેટની સેવા કરનારા 38 વર્ષીય મનોજ તિવારીએ તાજેતરમાં ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે રણજી ટ્રોફીને સમાપ્ત કરી દેવી જોઈએ, પરંતુ તે ક્રિકેટરની ભૂમિકા ભજવી રહ્યો હોવાથી તેણે આ વિષય પર વિસ્તૃત માહિતી આપી ન હતી. આ કોમેન્ટ બદલ તેને મેચ ફીની 20 ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો. આ મેચની વચ્ચે તેણે ફેસબુક લાઇવ પણ કર્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે નિવૃત્તિ લીધા બાદ તે ખુલીને સામે આવશે.