Mumbai Rain : સોમવારે સતત ત્રીજા દિવસે ભારે વરસાદ બાદ મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આઈએમડીએ આગામી બે દિવસ માટે મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદ વચ્ચે પાણી ભરાવાના કારણે અંધેરી સબવે બંધ કરી દેવામાં આવ્યો છે. બીએમસીએ સાંજની પાળીમાં ચાલતી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
મુંબઈ પોલીસે ‘એક્સ’ પર પોસ્ટ કરીને નાગરિકોને બિન-આવશ્યક મુસાફરી ટાળવા અને અત્યંત જરૂરી હોય તો જ ઘરેથી બહાર નીકળવાની અપીલ કરી હતી. પોલીસે કહ્યું કે અમારા અધિકારીઓ અને કર્મચારીઓ પુરી રીતે સતર્ક છે. કોઈ પણ કટોકટીની સ્થિતિમાં 100/ 112/103 ડાયલ કરો. તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અધિકારીઓ અને મુસાફરોના જણાવ્યા અનુસાર મહાનગરની જીવાદોરી ગણાતી ઉપનગરીય ટ્રેન સેવાઓ 8 થી 10 મિનિટ મોડી ચાલી રહી છે અને કોઈ સેવા સ્થગિત કરવામાં આવી નથી.
મહારાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ પર સીએમ ફડણવીસે શું કહ્યું?
મરાઠાવાડા વિસ્તારના મુખેડ તાલુકામાં વાદળ ફાટવાની વચ્ચે નાંદેડ જિલ્લામાંથી ગુમ થયેલા પાંચ વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ થયો છે. ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ (21 ઓગસ્ટ સુધી) સુધી મહારાષ્ટ્રના અડધા જિલ્લાઓમાં કાં તો રેડ એલર્ટ અથવા ઓરેન્જ એલર્ટ છે. અમારા કંટ્રોલ રૂમે જિલ્લાઓના કેન્દ્રોને ચેતવણી મોકલી છે. જ્યાં પણ કોઈ નુકસાન થયું છે, અમે રાહત પહોંચાડવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.
અનેક ફ્લાઇટ્સને અસર
સોમવારે ભારે વરસાદને કારણે મુંબઈમાં હવાઈ અને માર્ગ બાધિત થયો હતો, જેના કારણે નવ ફ્લાઈટ્સને લેન્ડિંગ રોકવી પડી હતી. ખરાબ વિઝિબિલિટી અને હવામાનને કારણે એક ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી હતી. એરલાઇન્સે એડવાઇઝરી જાહેર કરીને મુસાફરોને એરપોર્ટ પહોંચવા માટે વધારાનો સમય આપવા જણાવ્યું છે.
ભારતીય સેનાની મદદ લેવાની ફરજ પડી
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના વિવિધ ગામોમાં ભારે વરસાદ વચ્ચે 200થી વધુ લોકો ફસાયેલા છે, જેના કારણે સત્તાવાળાઓને બચાવ અને રાહત કામગીરી માટે ભારતીય સેનાની મદદ લેવાની ફરજ પડી છે. મરાઠાવાડા વિસ્તારના મુખેડ તાલુકામાં વાદળ ફાટવાની વચ્ચે નાંદેડ જિલ્લામાંથી ગુમ થયેલા પાંચ વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે. આઈએમડીએ નાંદેડ જિલ્લા માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેમાં સોમવાર અને મંગળવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો – ઓનલાઇન ગેમિંગ પર સરકાર લાદશે 40 ટકા GST! તમાકુ સિગારેટ માટે વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખજો
નાંદેડના જિલ્લા કલેક્ટર રાહુલ કાર્ડિલે પીટીઆઈને જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ભારતીય સૈન્યની એક ટુકડીને બોલાવી છે. તેમણે કહ્યું કે નાંદેડના મુખેડ વિસ્તારમાં સેનાની 15 સભ્યોની એક ટુકડી તૈનાત કરવામાં આવશે. ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. મેં પડોશી તેલંગાણાના સિંચાઇ વિભાગના સચિવ સાથે ફોન પર વાત કરી છે.
આ ઉપરાંત લાતુર, ઉદગીર અને કર્ણાટકથી પણ મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો આવી રહ્યો છે. રવિવારે લગભગ 206 મીમી વરસાદ નોંધાયો હતો. રાવણગાંવ, ભસવાડી, ભીંગેલી અને હસનાલમાં જનજીવન પ્રભાવિત થયું છે. રાવણગાંવમાં 225 નાગરિકો પૂરના પાણીમાં ફસાયેલા છે અને સૌથી વધુ અસરગ્રસ્ત સ્થળોએથી નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના નાગરિકોને સલામત સ્થળે ખસેડવાના પ્રયાસો ચાલુ છે.