Sunita Williams Return Path : અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસાએ ગુરુવારે જાહેરાત કરી હતી કે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોરને અંતરિક્ષ સ્પેસ સ્ટેશન ખાતેથી પરત લાવવા માટે શનિવાર સુધીમાં કોઇ ઠોસ નિર્ણય આવે એવી અપેક્ષા છે. નાસાએ એમ પણ કહ્યું હતું કે, બોઇંગના સમસ્યારુપ સ્ટારલાઇનર અવકાશયાનમાં સવાર આ અવકાશયાત્રીઓને પરત લાવવા માટે સ્ટારએક્સ વાહનનો ઉપયોગ લેવાશે કે કેમ? આ મુદ્દે પણ નિર્ણય લેવાશે.
ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર અવકાશ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર સ્ટારલાઇનર સાથે પરત ફરવા અંગે નાસાનો નિર્ણય એજન્સી સ્તરની સમીક્ષા બેઠક બાદ જ આવી શકે છે. આ અંગે શનિવાર પહેલા કોઇ નિર્ણય આવે એ અપેક્ષિત નથી.
સ્ટારલાઇનર દ્વારા તેના પ્રથમ બે અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર ગત જૂન માસમાં અંતરિક્ષ સ્થિત સ્પેસ સ્ટેશન ખાતે લઇ જવાયા હતા. અવકાશમાં નિયમિત ફ્લાઇટ્સ માટે ખાનગી સંસ્થા દ્વારા આ એક પહેલો પ્રયાસ હતો. જે ઘણી સાવચેતીઓ બાદ કરાયો હતો.
આ પણ વાંચો – સુનિતા વિલિયમ્સ માટે ખતરો કયો છે
સ્પેસ સ્ટેશન (આઇએસએસ) ખાતે આઠ દિવસીય મિશન બાદ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર બંને અવકાશયાત્રી પરત ફરવાના હતા. જોકે સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં લીક થવાને કારણે અને તેના કેટલાક થ્રસ્ટર્સની નિષ્ફળતાને કારણે મહિનાઓ સુધી મિશન ખોટવાયું છે. અવકાશયાત્રી સુનિતા અને બેરી વિલ્મોર બંને ફસાયા છે. જેમને પરત લાવવા મથામણ ચાલી રહી છે.
હવે દરેક સમાચાર તમારા મોબાઇલમાં, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ મેળવવા અમારા સોશિયલ મીડિયા Facebook | Twitter | Instagram સાથે જોડાઓ