ભારતે આજે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 ઇન્ટરમીડિયેટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (IRBM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે તેની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે. આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) થી કરવામાં આવ્યું હતું, જે ભારતની વ્યૂહાત્મક શક્તિ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. સંરક્ષણ મંત્રાલયે સફળતાની પુષ્ટિ કરી અને કહ્યું કે આ પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું અને આ પરીક્ષણમાં તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો સફળ રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઇલના પરીક્ષણ પહેલા ભારતે NOTAM (નોટીસ ટૂ એરમેનન) જારી કરી હતી, જેમાં હવા અને દરિયાઈ વિસ્તારમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે એક ચોક્કસ વિસ્તાર પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. બાદમાં આ NOTAM નું અંતર વધુ વધારવામાં આવ્યું હતું જેથી મિસાઇલની 5,000 કિલોમીટરથી વધુની રેન્જ સંપૂર્ણ રીતે પરીક્ષણ કરી શકાય. હવે ભારતે તેના મહારથી હથિયારનું પરીક્ષણ કર્યું છે જે પડોશી દુશ્મન દેશોના કોઈપણ ખૂણા પર પ્રહાર કરી શકે છે.
અગ્નિ-5 ની વિશેષતાઓ અને મહત્વ
અગ્નિ-5 એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) છે. આ મિસાઇલ 5000 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે, જે તેને ભારતની સૌથી અદ્યતન મિસાઇલોમાંની એક બનાવે છે. તે ત્રણ તબક્કાની ઘન ઇંધણવાળી મિસાઇલ છે, જે 17 મીટર લાંબી અને 2 મીટર પહોળી છે. તેનું વજન લગભગ 50 ટન છે અને તે 1.5 ટન સુધીના પરમાણુ હથિયારો વહન કરવામાં સક્ષમ છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદથી સૌથી વધુ નુકસાન, ગુજરાતમાં બે લોકોના મોત
અગ્નિ-5 રોડ-મોબાઇલ અને કેનિસ્ટરાઇઝ્ડ લોન્ચ સિસ્ટમ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે તેને ઝડપથી અને સરળતાથી તૈનાત કરવાની મંજૂરી આપે છે. આ ટેકનોલોજી મિસાઇલને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા, પરિવહન કરવા અને જરૂર પડ્યે તરત જ લોન્ચ કરવા સક્ષમ બનાવે છે. વધુમાં તેમાં અદ્યતન નેવિગેશન અને માર્ગદર્શન સિસ્ટમ્સનો સમાવેશ થાય છે, જેમ કે રિંગ લેસર ગાયરોસ્કોપ અને એક્સીલેરોમીટર, જે તેને ખૂબ જ સચોટ બનાવે છે.
ભારત માટે આ મિસાઇલનું વ્યૂહાત્મક મહત્વ
આ પરીક્ષણ ભારતની ‘મિનિમમ ક્રિડિબલ ડિટરન્સ’ નીતિ સાથે સુસંગત છે, જે ‘નો ફર્સ્ટ યુઝ’ ની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મિનિમમ ક્રિડિબલ ડિટરન્સ એ એક પરમાણુ સિદ્ધાંત છે જેમાં કોઈ દેશ તેના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ફક્ત સ્વરક્ષણ માટે કરે છે અને ખાતરી કરે છે કે તેની પાસે પરમાણુ હુમલાને રોકવા માટે પૂરતા પરમાણુ શસ્ત્રો છે. અગ્નિ-5 ની રેન્જ તેને એશિયા, ચીનના ઉત્તરીય પ્રદેશો અને યુરોપના કેટલાક ભાગોમાં લક્ષ્યો પર પ્રહાર કરવા સક્ષમ બનાવે છે.