Samudrayaan Mission, સમુદ્રયાન મિશન : ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરો એક પછી એક મોટા કારનામા કરી બતાવ્યા છે. ઈસરોએ ચંદ્રયાન અને સૂર્યયાન જેવા મિશનોને સફળતા પૂર્વક પાર પાડીને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે ત્યારે ચંદ્રયાન બાદ હવે ઈસરોએ તેના મહત્વકાંક્ષી સમુદ્રયાન મિશનની તૈયારી શરૂ કરી દીધી છે. ઈસરોએ સમુદ્રયાન મિશનમાં મોટી સફળતા હાંસલ કરી છે.
બંગાળની ખાડીમાં કરાયા પરીક્ષણો
બંગાળની ખાડીમાં રવિવારે પાણીની અંદરના કેટલાક પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા હતા. આ પછી પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સમુદ્રયાન મિશન 2025ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે ભારત સમુદ્રના ઊંડાણમાં પણ શોધ કરવા માટે તૈયાર છે.
વિશેષતા શું છે?
કિરેન રિજિજુએ કહ્યું કે ભારત તેના વૈજ્ઞાનિકોને દરિયામાં 6 કિમીની ઊંડાઈમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ મિશનથી સમુદ્રના ઊંડાણમાં છુપાયેલા રહસ્યો બહાર આવશે. આ સબમરીન વૈજ્ઞાનિક સેન્સર અને સાધનોથી સજ્જ હશે અને તેની ઓપરેશનલ ક્ષમતા 12 કલાક હશે, જેને કટોકટીની સ્થિતિમાં 96 કલાક સુધી વધારી શકાય છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને જાપાન જેવા દેશોએ ઊંડા સમુદ્રી મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ભારત આવા મિશન માટે કુશળતા અને ક્ષમતાનું પ્રદર્શન કરીને આ દેશોની હરોળમાં જોડાવા માટે તૈયાર છે.

આનાથી શું ફાયદો થશે?
કોબાલ્ટ, મેંગેનીઝ અને નિકલ ઉપરાંત રાસાયણિક જૈવવિવિધતા, હાઇડ્રો થર્મલ વેન્ટ્સ અને નીચા તાપમાનના મિથેનનું સંશોધન કરવામાં આવશે. આ મિશનમાં ભારત ‘મત્સ્ય’ સબમર્સિબલમાં ત્રણ લોકોને મોકલશે. આ સબમર્સિબલ 6000 મીટરની ઊંડાઈ સુધીના દબાણને સહન કરવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચોઃ- દેશ વિદેશ અને ગુજરાત સહિત તમામ ક્ષેત્રના તાજા સમાચાર અહીં વાંચો
આ સબમર્સિબલ પાણીની અંદર 12 થી 16 કલાક સુધી સતત કામ કરી શકે છે. તેમાં 96 કલાક માટે પૂરતી ઓક્સિજન સિસ્ટમ હશે. ‘મત્સ્ય’ 6000 સબમર્સિબલ્સ દરિયામાં જહાજના સંપર્કમાં રહેશે. મત્સ્ય 6000નું વજન 25 ટન છે અને તે 9 મીટર લાંબુ અને 4 મીટર પહોળું છે.
બજેટ 6000 કરોડ રૂપિયા છે
આ સમગ્ર સમુદ્રયાન પ્રોજેક્ટ માટે છ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમાં લગાવવામાં આવેલ સબમર્સિબલને મત્સ્ય-6000 નામ આપવામાં આવ્યું છે. તે ટાઇટેનિયમ ધાતુથી બનેલું છે. તેનો વ્યાસ 2.1 મીટર છે. આ વાહન ત્રણ લોકોને સમુદ્રના ઊંડાણમાં લઈ જવા સક્ષમ છે.