Maharashtra Assembly Elections 2024, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : મહારાષ્ટ્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે છત્રપતિ સંભાજીનગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે રાહુલ ગાંધીને શહેઝાદે પણ કહ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અઘાડીનાં લોકોએ મહારાષ્ટ્રની સમસ્યાઓ વધારવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. મરાઠવાડામાં લાંબા સમયથી પાણીનું સંકટ રહ્યું છે, પરંતુ કોંગ્રેસ અને અઘાડીવાળા હંમેશા હાથ-હાથ પર ધરીને બેસી રહ્યા હતા. અમારી સરકારમાં પહેલીવાર દુષ્કાળ સામે નક્કર પ્રયાસો શરૂ થયા હતા.
મહાયુતિ માટે આપણો ખેડૂત અન્નદાતા છે – પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અઘાડીવાળા તમને બુંદ-બુંદ પાણી માટે તરસાવશે. તમને વિનંતી છે કે આ અઘાડીવાળાને ઘુસવા જ ન દેતા. એટલે જ હું કહું છું કે : ભાજપ-મહાયુતિ આહે, તર ગતિ આહે. મહારાષ્ટ્રાચી પ્રગતિ આહે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મહાયુતિ માટે આપણો ખેડૂત અન્નદાતા છે, જે વિકસિત મહારાષ્ટ્રનો સૌથી મજબૂત સ્તંભ છે. અહીં કપાસના ખેડૂતો મોટી સંખ્યામાં છે. અમારી સરકાર પણ તેમની આવક વધારવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવવા માટે વિકાસ નહીં પરંતુ વિભાજનમાં માને છે. કોંગ્રેસ દલિતો, ઓબીસી, આદિવાસીઓને આગળ વધતા રોકે છે જેથી પેઢી દર પેઢી તેમનો કબજો રહે. એટલા માટે કોંગ્રેસ શરૂઆતથી જ અનામતની વિરુદ્ધમાં રહી છે.
કોંગ્રેસ અનામતને દેશ વિરુદ્ધ અને મેરિટની વિરુદ્ધ ગણાવતી હતી – પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજકાલ ઇન્ટરનેટ પર જૂનાં અખબારોની તસવીરો વાયરલ થઈ રહી છે. અનામત અંગે કોંગ્રેસની અસલી વિચારસરણી શું છે તે જાહેરાતોમાં સ્પષ્ટ દેખાય છે. કોંગ્રેસ અનામતને દેશ વિરુદ્ધ અને મેરિટની વિરુદ્ધ ગણાવતી હતી. કોંગ્રેસની માનસિકતા અને કોંગ્રેસનો એજન્ડા હજુ પણ એવો જ છે. એટલે જ છેલ્લા 10 વર્ષથી ઓબીસી સમાજના વડાપ્રધાન તેમને સહન થઇ રહ્યા નથી.
આ પણ વાંચો – એક્સપ્રેસ અડ્ડામાં સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું – અમારા નેતાઓએ ટેસ્ટ છોડી ટી-20 ફોર્મેટ અપનાવવું પડશે
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શહેજાદે વિદેશમાં જઇને ખુલ્લેઆમ નિવેદનો કરે છે કે તેઓ અનામતને ખતમ કરી દેશે. હવે પોતાના એજન્ડાને આગળ વધારવા માટે કોંગ્રેસ અને અઘાડી એસસી/એસટી/ઓબીસી સમાજને નાની-નાની જાતિઓમાં વહેંચવાનું ષડયંત્ર રચી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ વિચારી રહી છે કે ઓબીસી જ્ઞાતિઓમાં વહેંચાઇ જશે તો તેની તાકાત ઓછી થશે અને જ્યારે સમાજની તાકાત ઘટશે ત્યારે કોંગ્રેસને બેઠા બેઠા લાભ મળશે.
વડાપ્રધાને કહ્યું કે અહીંથી કોંગ્રેસ સત્તામાં વાપસીની તલાશમાં છે. જો કોંગ્રેસને સરકારમાં આવવાની તક મળશે તો તેઓ SC/ST/OBCની અનામત બંધ કરી દેશે. આપણે જાગૃત રહીને એકતાની તાકાત વધારીને એકતાને મજબૂત કરવાની છે. એટલે આપણે યાદ રાખવું પડશે. આપણે એક છીએ તો સલામત છીએ.