Lok Sabha election 2024 : આમ આદમી પાર્ટી મંગળવારે દિલ્હી, હરિયાણા, ગુજરાત, દિલ્હી અને પંજાબ માટે લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને આપની રાજકીય બાબતોની સમિતિ (પીએસી)ની બેઠક બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. પાર્ટીએ કહ્યું કે પીએસીની બેઠકમાં મુખ્યત્વે લોકસભાના ઉમેદવારોની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
દિલ્હીમાં આપ નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને પૂર્વ દિલ્હી મતક્ષેત્રોમાં પોતાના ઉમેદવારો ઉભા રાખશે. આપ અને તેની સહયોગી પાર્ટી કોંગ્રેસ વચ્ચે તાજેતરમાં જ દિલ્હીમાં બેઠકોની વહેંચણીની સમજૂતી થઈ હતી. કોંગ્રેસના સાંસદ મુકુલ વાસનિકે દિલ્હીમાં જાહેરાત કરી હતી કે આપ ચાર બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ ત્રણ બેઠકો પર ઉમેદવારો ઉતારશે.
જોકે બંને પક્ષો પંજાબમાં બેઠકોની વહેંચણીની સમજૂતી પર પહોંચી શક્યા ન હતા, જ્યાં આપે અગાઉ કહ્યું હતું કે તે તમામ 13 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. દિલ્હી ઉપરાંત આપ અને કોંગ્રેસે હરિયાણા, ગુજરાત, ચંદીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણીની ડીલને આખરી ઓપ આપી દીધો છે.
5 રાજ્યોમાં આપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીની સમજૂતી જાહેર
દિલ્હી ઉપરાંત આપ અને કોંગ્રેસે હરિયાણા, ગુજરાત, ચંદીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણીની ડીલને આખરી ઓપ આપી દીધો છે. દિલ્હીની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી આપ માટે નિર્ણાયક છે કારણ કે ભાજપે 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો જીતી હતી.
આ પણ વાંચો – આપને ભરુચ સીટ આપી, શું કોંગ્રેસે અહેમદ પટેલની 45 વર્ષની વિરાસતને મિટાવી દીધી?
આ પહેલા આગામી લોકસભા ચૂંટણી 2024 માટે દિલ્હી અને ગુજરાત સહિત 5 રાજ્યોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણીની શનિવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ અને આપ પાર્ટીએ દિલ્હી, ગુજરાત, ગોવા, ચંદીગઢ અને હરિયાણામાં એક સાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે, પંજાબમાં બંને પક્ષો અલગ અલગ ચૂંટણી લડશે. કોંગ્રેસે આપને હરિયાણાની 1 અને ગુજરાતની 2 સીટ આપને આપવાનો નિર્ણય કર્યો છે. આપ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી માત્ર બે બેઠકો – ભરૂચ અને ભાવનગરમાં ચૂંટણી લડશે.
ઇડી દ્વારા 7 સમન્સ છતાં કેજરીવાલ હાજર ના થયા
બીજી તરફ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સાથે જોડાયેલી મની લોન્ડ્રિંગની તપાસ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ઇડી સમક્ષ હાજર થયા ન હતા. કેજરીવાલે કહ્યું કે જો કોર્ટ તેમને આ અંગે આદેશ આપશે તો તેઓ ઇડી સમક્ષ હાજર થશે. આ સાતમી વખત છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સના જવાબમાં કેજરીવાલ એજન્સી સમક્ષ હાજર થયા નથી.
ઇડીએ ગયા અઠવાડિયે મુખ્યમંત્રીને સાતમું સમન્સ જારી કરીને પૂછપરછ માટે એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. કેજરીવાલે આરોપ લગાવ્યો કે આ સમન્સ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન છોડવા માટે તેમના પર દબાણ લાવવાનું એક સાધન છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પાર્ટીઓ સાથે સંબંધો નહીં તોડે.