Jammu To Vaishno Devi Helicopter Service Start : જમ્મુ કાશ્મીરના કટરા સ્થિત ત્રિકુટા પહાડો પર આવેલું માતા વૈષ્ણોદેવીનું મંદિર હિન્દુઓ માટે મોટું આસ્થાનું કેન્દ્ર છે. વૈષ્ણોદેવી મંદિરના દર્શન માટે દર વર્ષે લાખો યાત્રિકો આવે છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે એક મોટા સામાચાર સામે આવ્યા છે, હવે વૈષ્ણો દેવી માટે તમને જમ્મુ થી જ સીધી વૈષ્ણોદેવી માટે હોલિકોપ્ટર સર્વિસ મળી રહેશે. મંગળવાર થી પહેલી ઉડાન શરૂ થઈ ગઈ છે. તો જોઈએ ક્યાંથી હેલિકોપ્ટરનું બુકિંગ કરાવવું, કેટલું ભાડુ રહેશે, કેટલા સમયમાં પહોંચાડશે, કેવી સુવિધા મળશે? બધુ જ.
વૈષ્ણોદેવી હેલિકોપ્ટર સેવા શરૂ કરવાને લઈ તીર્થ સ્થળ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દુનિયાભરમાંથી આવતા યાત્રાળુઓને સારી સુવિધા મળી રહે અને સરળતાથી યાત્રા વ્યવસ્થા કરી શકાય તે માટે જમ્મુ થી સીધી વૈષ્ણોદેવી માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ભારતના લગભગ તમામ મોટા શહેરથી જમ્મુ માટે સીધી ટ્રેનની વ્યવસ્થા છે, જેથી જમ્મુ થી વૈષ્ણોદેવી માટે હોલિકોપ્ટર સેવા યાત્રાળુઓ માટે સુવિધામાં વધારો કરશે.
જમ્મુ થી વૈષ્ણોદેવી હેલિકોપ્ટર સેવા બે પેકેજ
તીર્થ સ્થળ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જમ્મુ થી વૌષ્ણોદેવી હેલિકોપ્ટર સુવિધાનો લાભ લેવા માંગતા લોકો માટે બે પેકેજની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એક જ દિવસમાં દર્શન કરી પાછા પરત આવવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જમ્મુ થી વૈષ્ણોદેવી હેલિકોપ્ટર માટે કેટલું પેકેજ ભાડું રહેશે?
જમ્મુ થી વૈષ્ણોદેવી યાત્રા માટે તમને જણાવ્યું તેમ બે પેકેજની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એક જ દિવસમાં જમ્મુ-વૈષ્ણોદેવી-જમ્મુ યાત્રા માટે 35000 રૂપિયાનું પેકેજ છે, તો જમ્મુ થી વૈષ્ણોદેવી એક રાત્રી રોકાણ બાદ પાછા આવવા માટે 60,000 રૂપિયાનું પેકેજ રહેશે.

જમ્મુ થી વૈષ્ણોદેવી કેટલો સમય લાગશે અને પેકેજમાં શું સુવિધા મળશે?
મીડિયા રિપોર્ટ અનુસાર, જમ્મુ થી વૈષ્ણોદેવી પહોંચવાનો સમય લગભગ 10 મીનિટ જ લાગશે. જો સુવિધાની વાત કરીએ તો, રાત્રી રોકાણનું પેકેજ પસંદ કરો છો તો, તીર્થ યાત્રીઓને હેલિપેડથી પવિત્ર ગુફા મંદિર સુધી પરિવહનની સુવિધા મળશે, આ સિવાય પ્રાથમિકતા સાથે દર્શનનો લાભ, રાત્રી રોકાણ માટે આવાસ ભવન, સવારે ચા નાસ્તો અને બે ટાઈમ ભોજન, તથા શ્રદ્ધા સુમન વિશેષ પૂજા આરતી, ભૈરો ઘાટી મંદિર માટે રોપ વે ટિકિટ, પંચ મેવા પ્રસાદનો ડબ્બો સહિતની સુવિધા મળશે. તમને જણાવી દઈએ કે, વૈષ્ણોદેવી મંદિર દર્શન સમય સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો અને સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો છે.

પહેલા કટરાથી સાંજીછત સુધી હેલિકોપ્ટર સેવા હતી
આ પહેલા વૈષ્ણો દેવી મંદિર માટે કટરાથી સાંજીછત સુધીની હેલિકોપ્ટર સેવા હતી, જેમાં એક તરફી યાત્રા છોડી દેવાનું ભાડુ 2100 રૂપિયા હતુ તો, દર્શન કરી પાછા રિટર્ન ભાડુ 4200 રૂપિયા હતું. તમને જણાવી દઈએ કે, સાંજીછત હેલિપેડથી યાત્રીએ વૈષ્ણો દેવી પવિત્ર દર્શન 2.5 કિમી માટે 30 મિનીટ પગપાળા યાત્રા કરવી પડતી હતી, જોકે, સાંજીછતથી વૈષ્ણો દેવી મંદિર જવા માટે તમને પાલખી, ટટ્ટુ, તથા કુલી સેવા મળી રહે છે. હેલિકોપ્ટર બુકિંગ માટે તમે તેની અધિકારીક વેબસાઈટ પરથી બુકિંગ લઈ શકો છો, અથવા ટૂર ઓપરેટર પાસેથી બુકિંગ કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે, એક સાથે પાંચ લોકો હેલિકોપ્ટરમાં મુસાફરી કરી શકે છે, તથા બે વર્ષથી નાના બાળકનું ભાડુ નથી હોતું, તેમને વાલીએ ખોળામાં બેસાડી મુસાફરી કરવી પડશે.