લાંબી મુસાફરી માટે ટ્રેન એ સૌથી સરળ અને પોસાય તેવું માધ્યમ છે. દેશમાં રોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. કલ્પના કરો કે, તમે લાંબી મુસાફરી પર જઈ રહ્યા છો અને અચાનક તમારી ટ્રેનમાં તબીયત અસ્વસ્થ લાગે છે, પરંતુ મુસાફરી હજી ઘણી લાંબી છે, તો શું થશે? તાજેતરના સમયમાં, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોની ખરાબ તબિયત અને સમયસર સારવારના અભાવને કારણે કેટલાક ખૂબ જ દુ:ખદ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આજે અમે તમને આ વિષય વિશે જણાવીશું, જો તમારી સાથે આવું થાય તો તમારે શું કરવું જોઈએ, જેથી સમયસર મદદ મળી શકે.
જો ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમારી તબિયત બગડે તો, ગભરાવાની જરૂર નથી. તમારે તાત્કાલિક રેલવે હેલ્પલાઇન નંબર 138 પર કૉલ કરવો જોઈએ. તેનાથી તમને તમારી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. જો તમને 138 પર કૉલ કરવામાં સમસ્યા આવે છે, તો તમે 9794834924 પર પણ કૉલ કરી શકો છો. આ સિવાય તમે રેલવે પોલીસ તથા ટિકિટ ચેકર (TTE) અથવા ટ્રેનમાં કંડક્ટરને પણ તરત જ મુસાફરની સ્થિતિની જાણ કરવી જોઈએ.
તમને જણાવી દઈએ કે, હવે તમામ ટ્રેનોમાં ડોક્ટરોની સુવિધા ઉપલબ્ધ છે. આ માટે તમારે કેટલીક પ્રક્રિયાને અનુસરવી પડશે અને ટૂંક સમયમાં જ ટ્રેનમાં હાજર ડૉક્ટરનો સંપર્ક કરીને સારવાર કરાવી શકો છો. તમે ‘X’ પર IRCTC ને ટેગ કરીને અને તમારી ટિકિટ પર દર્શાવેલ PNR અને અન્ય વિગતો આપીને તમારી સ્થિતિ વિશે રેલવેને જાણ કરી શકો છો.
મુસાફરોની મદદ માટે ટ્રેનોમાં નવા મેડિકલ બોક્સ પણ લગાવવામાં આવ્યા છે, જેમાં 58 પ્રકારની દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓ હોય છે. જેનાથી મુસાફરોને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી શકશે. જો કોઈ મુસાફર ચાલતી ટ્રેનમાં તેની ખરાબ તબિયત અંગે ‘X’ પર ફરિયાદ કરે છે, તો રેલવે ડૉક્ટરો સ્ટેશન પર ફી લઈને સેવા પૂરી પાડે છે. જો મુસાફર સોશિયલ સાઈટનો ઉપયોગ ન કરે તો, ટીસી અથવા ટીટીઈ રેલવે કંટ્રોલ રૂમને જાણ કરે છે અને આ ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – તમારી કંપની પીએફના પૈસા તમારા પીએફ એકાઉન્ટમાં જમા નથી કરાવતી? જાણો ક્યા અને કેવી રીતે ફરિયાદ કરવી
આ તમામ ઉપાયોને અનુસરીને, આગળના સ્ટેશન પર હાજર તબીબો તમારી સેવા માટે તત્પર રહે છે. ઉલ્લેખનીય છે કે, તમારે ટ્રેનમાં ડૉક્ટરને બોલાવવા પર વધુ પૈસા ખર્ચવા પડી શકે છે, કારણ કે તેની ફી હવે પાંચ ગણી વધારી દેવામાં આવી છે, પરંતુ તમને ચાલુ મુસાફરીમાં સમયસર સારવાર મળી શકે છે.