Helicopter Emergency Landing Kedarnath : કેદારનાથ માટે બઢાસુ (સિરસી)થી ઉડાન ભરેલા એક હેલિકોપ્ટરને શનિવારે ટેકનિકલ કારણોસર હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 મુસાફરો અને પાઇલટ સુરક્ષિત છે.
હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું
અકસ્માતમાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું અને ટક્કરને કારણે હાઇવે પર પાર્ક કરેલા વાહનને પણ નુકસાન થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલેપમેન્ટ ઓથોરિટી (UCADA) એ આ બાબતની નોંધ લીધી અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને તેની જાણ કરી હતી.
ઉત્તરાખંડના એડીજી (લો એન્ડ ઓર્ડર ) ડૉ. વી મુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથ ધામ જઈ રહેલા એક ખાનગી હેલિકોપ્ટરને ટેકનિકલ ખામીને કારણે રુદ્રપ્રયાગ જિલ્લાના ગુપ્તકાશીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ક્રેસ્ટલ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ હેલિકોપ્ટર સિરસીથી મુસાફરો સાથે ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તેણે સાવચેતીના પગલાં રૂપે નિયુક્ત હેલિપેડને બદલે રસ્તા પર લેન્ડિંગ કર્યું હતું. વીડિયોમાં જોવા મળે છે કે હેલિકોપ્ટર રસ્તાની વચ્ચે ઉભું છે અને તેનો પાછળનો ભાગ એક કારની છત સાથે અથડાયો હતો.
આ પણ વાંચો – પીએમ મોદીને કેનેડાથી G-7 નું આમંત્રણ મળ્યું, ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું સસ્પેન્સ
UCADA ના CEO ના જણાવ્યા અનુસાર બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેદારનાથ માટે અન્ય હેલિકોપ્ટર શટલ કામગીરી સમયપત્રક મુજબ સામાન્ય રીતે ચાલુ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત સમયે હેલિકોપ્ટર કેદારનાથ યાત્રા પર હતું અને તમામ મુસાફરો યાત્રાળુ હોવાનું કહેવાય છે. લેન્ડિંગ પછી તરત જ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ચારધામ યાત્રા શરૂ થયા પછી ચોથો હેલિકોપ્ટર અકસ્માત
ચારધામ યાત્રા શરૂ થયા પછી આ ચોથો હેલિકોપ્ટર અકસ્માત છે. અગાઉ પણ કેદારનાથ હેલિપેડ નજીક એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું, જેમાં એઇમ્સના બે ડોકટરો અને પાઇલટનો બચી ગયા હતા. વહીવટીતંત્રે આ ઘટનાની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે.