Hathras Satsang Stampede, હાથરસ દુર્ઘટના : ઉત્તર પ્રદેશની હાથરસ દુર્ઘટનાએ સૌને હચમચાવ્યા છે. હાથરસ સત્સંગમાં મંગળવારે ભારે નાસભાગ મચી ગઈ હતી. સિકંદરારૌ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલરાઈ ગામમાં આયોજિત ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગમાં મહિલાઓ અને બાળકો સહિત 121 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. હવે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, સ્થાનિક આયોજકોએ ભોલે બાબાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ બાદ જ્યારે સત્સંગના ઉપદેશક સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક ભક્તોનું ટોળું તેમને સ્પર્શ કરવા તેમની તરફ આગળ વધવા લાગ્યું અને સેવકોએ તેમને રોક્યા, ત્યારે ત્યાં જ અકસ્માત થયો હતો. આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે અમે એડિશનલ ડીજી આગ્રાની અધ્યક્ષતામાં એક ટીમ બનાવી છે અને 24 કલાકમાં રિપોર્ટ મંગાવ્યો છે.
લોકો ભોલે બાબાના પગની ધૂળ કપાળે લગાવવા દોડ્યા દોડ્યા
પ્રત્યક્ષદર્શીઓએ એમ પણ જણાવ્યું કે, ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિનો સત્સંગ લગભગ 12 વાગ્યે શરૂ થયો હતો અને બપોરે 2 વાગ્યે સમાપ્ત થયો હતો. સત્સંગ પછી ભોલે બાબા પાછા જવા લાગ્યા. હજારો લોકો ભોલે બાબાના કાફલાની પાછળ દોડ્યા અને તેમના પગની ધૂળ કપાળ પર લગાવવાનો પ્રયાસ કર્યો. કાળઝાળ ગરમી અને ભેજના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ હતી.
આ દરમિયાન ભીડમાં દબાઈને ઘણી મહિલાઓ અને બાળકો જમીન પર પડી ગયા હતા. તે જમીન પર પડી જતાં ભીડે તેમને કચડી નાખ્યા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું. એટલું જ નહીં, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, શ્રદ્ધાળુઓને રોક્યા બાદ અરાજકતા ફેલાઈ ગઈ અને નાસભાગ મચી ગઈ. સત્સંગના સ્થળે વ્યવસ્થાનો ઘણો અભાવ હતો.
આ પણ વાંચો – 116થી વધુ લોકોનો ભોગ લેનાર હાથરસ દુર્ઘટના કેવી રીતે ઘટી, કેમ થયા આટલા મોત? પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવી કહાની
સત્સંગના સ્થળે લોકો પોતાના સ્નેહીજનોની સામે જ મૃત્યુ પામ્યા. કોઈ એકબીજાની સામે જોઈ પણ રહ્યું ન હતું. બધા લોકો હાઇવે પર પહોંચવા દોડ લગાવી રહ્યા હતા. આ નાસભાગમાં કોઈનો પગ ખાડામાં પડી ગયો તો કોઈનો પગ નીચે કચડાઈ ગયા. કોઈનું બાળક જમીન પર પડી ગયું તો કોઈની માતાએ પણ જીવ ગુમાવ્યો. અકસ્માતનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે, લોકોના હૃદય કંપી ઉઠ્યા હતા.
એટલું જ નહીં, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો લાંબા સમય સુધી મદદ માટે તડપતા રહ્યા. સમયસર સારવાર ન મળવાને કારણે અડધાથી વધુ લોકોના મોત થયા હતા. એમ્બ્યુલન્સને પહોંચતા ઘણો સમય લાગ્યો. આ સત્સંગમાં યુપી, રાજસ્થાન સહિત અનેક જગ્યાએથી લોકો આવ્યા હતા.