Salman Khan Bishnoi Community: એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવારે 12 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ મુંબઈ પોલીસે ત્રણ શૂટરોની ધરપકડ કરી છે અને મામલાની તપાસ ચાલુ છે. હાલમાં આ સમગ્ર મામલા પાછળના માસ્ટરમાઈન્ડની શોધ ચાલી રહી છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. ફેસબુક પર પોસ્ટ શેર કરીને તેની જવાબદારીલ લેવામાં આવી છે. તેના પછી સલમાન ખાનની સુરક્ષાને વધારી દેવામાં આવી છે. ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર વધુ સુરક્ષા ખડકી દેવામાં આવી છે. આ દરમિયાન બીજેપી નેતા હરનાથ સિંગ યાદવે સલમાન ખાનને માફી માંગી લેવાની સલાહ આપી છે. તેમની પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.
ખરેખરમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ બીજેપી નેતા હરનાથ સિંહ યાદવે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોતાના ઓફિશિયલ પેજથી એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે સલમાન ખાનને ટેગકરતા લખ્યું,’પ્રિય સલમાન ખાન, કાળુ હરણ જેને બિશ્નોઈ સમાજ દેવતા માને છે, તેની પુજા કરે છે, તેનો તમે શિકાર કર્યો અને તેને પકવીને ખાધુ, જેના કારણે બિશ્નોઈ સમાજની ભાવના આહત થઈ છે અને બિશ્નોઈ સમાજમાં તમારા પ્રત્યે છેલ્લા ઘણા સમયથી આક્રોશ છે. માણસથી ભૂલ થઈ જાય છે. તમે મોટા અભિનેતા છો, દેશમાં મોટી સંખ્યામાં તમારા ફેન્સ છે. મારી તમને સલાહ છે કે તમે બિશ્નોઈ સમાજની ભાવનાઓનું સન્માન કરતા પોતાની ભૂલ સ્વીકારતા પોતાની ભૂલ માટે બિશ્નોઈ સમાજ પાસે માફી માંગી લો.’
હરનાથ સિંહ યાદવની પોસ્ટ પર લોકો ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને સલમાન ખાનને ફટકાર લગાવી રહ્યા છે. ત્યાં જ જો હરનાથ સિંહની વાત કરીએ તો તેઓ બીજેપીના પૂર્વ રાજ્યસભા સાંસદ છે અને યૂપીના મૈનપુરીથી સંબંધ ધરાવે છે.
આ પણ વાંચો: બાબા સિદ્દીકી જ નહીં પહેલા આ નેતાઓની હત્યાઓથી પણ હચમચી ગયું હતું મુંબઈ
સલમાન પાછળ કેમ પડી છે બિશ્નોઈ ગેંગ?
જો વાત કરવામાં આવે સલમાન ખાન પાછળ બિશ્નોઈ ગેંગ કેમ પડી છે તો તેનું કારણ છે વર્ષ 1998માં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાને પોતાના સાથી કલાકારો સાથે મળી કાળા હરણનો શિકાર કર્યો હતો. જેનો આરોપ સલમાન ખાન પર લાગ્યો હતો. આ મામલે પ્રથમવાર સલમાન ખાનની ધરપકડ 12 ઓક્ટોબર 1998માં થઈ હતી. પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ 17 ઓક્ટોબર 1998 નારોજ જામીન મળતા તે જોધપુર જેલમાંથી મુક્ત થઈ ગયો હતો. 5 એપ્રિલ 2018 નારોજ કાળા હરણ મામલે એક્ટરને દોષિ ઠેરવવામાં આવ્યો હતો અને તેને પાંચ વર્ષની સજા પણ સંભળાવવામાં આવી હતી. તેના પછી 7 એપ્રિલ 2018 એ 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મળી ગયા હતા. જોકે કાળા હરણ શિકાર મામલાને લઈ બિશ્નોઈ સમાજ તેનાથી નારાજ છે અને સતત માફી માંગવા માટે કહી રહ્યો છે. આજ કારણે બિશ્નોઈ ગેંગ તેની પાછળ પડી છે.
તમને જણાવી દઈએ કે, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ પણ થઈ ચુક્યું છે. તેને સતત ઈમેલના માધ્યમથી જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. અહીંયા સુધી કે તેના પનવેલવાળા ફાર્મ હાઉસની રેકી પણ કરવામાં આવી હતી. ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગ બાદથી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે બાબા સિદ્દીકીની હત્યાએ ન માત્ર રાજનૈતિક પણ બોલિવૂડને પણ હલાવી દીધુ છે. હાલમાં સલમાન ખાનની સુરક્ષાને જડબેસલાખ કરી દેવામાં આવી છે અને પરિવારજનોએ સંબંધી અને દોસ્તોને તેમનાથી ન મળવા અનુરોધ કર્યો છે.