Wrestlers Protest Updates: બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરતા રેસલર્સને ખાપ પંચાયત અને કિશાન યૂનિયન તરફથી પુરું સમર્થન મળી રહ્યું છે. ગુરુવારે મુજફ્ફરનગરમાં આયોજિત મહાપંચાયત બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી હતી કે છોકરીઓની લડાઈનો અંત નહીં આવે. તે તેમને સંપૂર્ણ ટેકો આપશે. ટિકૈતે એમ પણ કહ્યું હતુ કે, ખેલાડીઓએ પોતાના મેડલ્સ નદીમાં પધરાવી દેવાના બદલે તેની હરાજી કરી દે.
મંગળવારે દિલ્હીથી કુસ્તીબાજો પોતાના મેડલ્સને પધરાવવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. જોકે બીકેયુના પ્રમુખ નરેશ ટિકૈતે તેમને આવું કરતા અટકાવ્યા હતા અને પાંચ દિવસની મુદત માંગી હતી. રેસલર્સ પોતાના ઘરે પાછા ફર્યા હતા. જ્યારે ખેડૂત નેતાઓએ મુજફ્ફરનગરમાં ખાપની મહાપંચાયતની જાહેરાત કરી હતી.
રાકેશ ટિકૈતે કહ્યું – લડાઈ લડવામાં આવશે
રાકેશ ટિકૈતે કહ્યું કે અહીંના ખાપ પંચાયતના પ્રતિનિધિ મહિલા કુસ્તીબાજોની સમસ્યા લઇને રાષ્ટ્રપતિને મળવા જશે. શુક્રવારે કુરુક્ષેત્રમાં યોજાનાર મહાપંચાયત બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. તેઓએ બાકીના નિર્ણયોને સુરક્ષિત રાખ્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું કે આ લડાઈ લડવામાં આવશે. છોકરીઓ અને ખાપ પંચાયત લડશે. છોકરીઓ સાથે અન્યાય નહીં થાય. તે હારશે નહીં. આ રેસલર્સ પર આરોપ ન લગાવો. તે કોઇ આંદોલનકારી ન હતા. પોલીસે તેમની સાથે જે રીતે વ્યવહાર કર્યો તેનાથી તે નિરાશ છે. જ્યારે તે મેડલ જીતીને આવતા હતા ત્યારે પોલીસ તેને સલામ કરતી હતી, ગળે લગાવતી હતી, પરંતુ હવે કુસ્તીબાજોએ નિરાશ થવાની જરૂર નથી.
આ પણ વાંચો – બ્રિજભૂષણ સિંહે કહ્યું – જો મારી સામે એક પણ આરોપ સાબિત થશે તો હું પોતે ફાંસી પર લટકી જઇશ
રાકેશ ટિકૈતે કહ્યું- મેડલની કરી દો હરાજી
રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું કે મેં રેસલર્સને કહ્યું કે તેમના મેડલ્સ ગંગામાં વિસર્જિત ન કરો, તેને હરાજી માટે રાખી દો. આખી દુનિયા આગળ આવશે અને તમને હરાજી બંધ રાખવા માટે કહેશે. ટિકૈતને જ્યારે પૂછવામાં આવ્યું કે તે કુસ્તીબાજોને ટેકો કેમ આપી રહ્યા છે તો તેમણે કહ્યું કે જો પરિવાર મોટો હોય તો સારું છે. રાકેશ ટિકૈતે એમ પણ કહ્યું હતું કે તેમના સમર્થકો ફરી એકવાર દિલ્હીનો ઘેરાવ કરશે.
દોષિત સાબિત થઇશ તો ફાંસીએ લટકી જઈશઃ બ્રિજભૂષણ સિંહ
બ્રિજભૂષણ શરણસિંહે કહ્યું હતું કે જો મારી સામે એક પણ આરોપ સાબિત થશે, તો હું મારી જાતને ફાંસીએ લટકાવી દઈશ. આજે પણ હું આ વાત પર અડગ છું. ચાર મહિના થઈ ગયા છે તેઓ મારી ફાંસી ઇચ્છે છે પરંતુ સરકાર મને ફાંસી આપી રહી નથી, તો તેઓ (રેસલર્સ) તેમના મેડલ્સ લઈને ગંગામાં પધરાવવા જઈ રહ્યા છે. મારા પર આરોપ લગાવનારા લોકો દ્વારા ગંગામાં મેડલ પધરાવવાથી બ્રિજભૂષણને ફાંસી થશે નહીં.