Voter Card Aadhaar Card Link: ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવા ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ECI સુપ્રીમ કોર્ટના સંબંધિત નિર્ણયો અનુસાર ઇપીઆઇસીને આધાર સાથે જોડવા માટે પગલાં લેશે. આ નિર્ણયો મંગળવારે ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) અને ગૃહ મંત્રાલય, કાયદા, આઇટી મંત્રાલય અને યુઆઈડીએઆઈના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આધારને બંધારણના અનુચ્છેદ 326 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 23 (4), 23 (5) અને 23 (6) મુજબ ઇપીઆઇસી સાથે જોડવામાં આવશે.
ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરવાના કારણ આપવા પડશે
આ દરમિયાન, ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય ચૂંટણી પંચ તેના મતદાતા રેકોર્ડ્સને આધાર ડેટાબેઝ સાથે જોડવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇએડીઆઇ) સાથે મળીને કામ કરશે. સાથે જ કાયદા મંત્રાલય ફોર્મ 6બીમાં સંશોધન કરીને સ્પષ્ટ કરશે કે આધારની વિગતો આપવી સ્વૈચ્છિક રહેશે. જો કે, આ માહિતી આપવાનો ઇનકાર કરનારા મતદારોએ આનું કારણ જણાવવું પડશે.
આધાર કાર્ડ મતદાર ઓળખપત્ર સાથે કેવી રીતે જોડવું?
એક કલાક સુધી ચાલેલી ચર્ચા દરમિયાન ચૂંટણી પંચ અને સરકારી અધિકારીઓએ મતદાર ડેટાબેઝને આધાર સાથે જોડવાના ફાયદા-નુકસાન તેમજ તેની સાથે સંકળાયેલી કાયદેસરતાઓ અંગે ચર્ચા કરી હતી. હાલમાં પંચે 2023 સુધીમાં 66 કરોડથી વધુ મતદારોની આધાર વિગતો એકઠી કરી છે, જેમણે સ્વેચ્છાએ આ માહિતી આપી હતી. જો કે આ 66 કરોડ મતદાતાઓના બે ડેટાબેઝ લિંક કરવામાં આવ્યા નથી. જો કે, આગળ જતા, ચૂંટણી પંચ યુઆઈડીએઆઈ સાથે મળીને બે ડેટાબેઝને કેવી રીતે લિંક કરવો તે નક્કી કરવા માટે કામ કરશે, ઓછામાં ઓછા એવા મતદાતાઓ માટે કે જેમણે સ્વેચ્છાએ માહિતી ચૂંટણી પંચને સુપરત કરી છે.
વોટર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે
જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 23(4), 23(5) અને 23(6) મતદાર ઓળખપત્ર ચકાસણી હેતુ આધાર કાર્ડની વિનંતી કરવા માટે મતદાર નોંધણી અધિકારીના અધિકાર, વર્તમાન મતદારો માટે સ્વેચ્છાએ આધાર નંબર રજૂ કરવાની પ્રક્રિયા અને તે ખાતરી કરવા સાથે સંબંધિત છે કે, આધાર કાર્ડની માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જવા બદલ કોઈને પણ મતદાર યાદીમાંથી નકારી કે દૂર કરી શકાય નહીં.
ફોર્મ 6Bમાં ફેરફાર કરવામાં આવશે?
ઉપરાંત આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ફોર્મ 6 બી (જે મતદારોના આધાર નંબર એકત્રિત કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું) માં કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશન દ્વારા સુધારો કરવામાં આવશે જેથી માહિતીની આપ-લે સ્વૈચ્છિક છે કે કેમ તે અંગેની અસ્પષ્ટતા દૂર કરી શકાય. હાલમાં ફોર્મ 6બી પાસે મતદારો માટે આધાર ન આપવાનો વિકલ્પ નથી, માત્ર બે જ વિકલ્પ આપવામાં આવ્યા છે – કાં તો આધાર નંબર આપો અથવા જાહેર કરો કે મારી પાસે આધાર નંબર નથી એટલે હું મારું આધાર રજૂ કરી શકતો નથી.
ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, વિકલ્પોને દૂર કરવા માટે એક સુધારો કરવામાં આવશે, પરંતુ મતદાતાએ ખુલાસો કરવો પડશે કે તે પોતાનો 12 અંકનો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર કેમ નથી આપી રહ્યો.
આ ફેરફાર સપ્ટેમ્બર, 2023માં સર્વોચ્ચ અદાલત (જી નિરંજન વિરુદ્ધ ભારતીય ચૂંટણી પંચમાં) સમક્ષ ઇસીઆઈની પ્રતિબદ્ધતાને અનુરૂપ હશે, જેમાં મતદાતાઓ એ સુનિશ્ચિત કરી શકે કે આ ઉદ્દેશ માટે રજૂ કરવામાં આવેલા સ્વરૂપોમાં યોગ્ય વિવરણાત્મક ફેરફારો બહાર પાડવાની વિચારણા કરવામાં આવી રહી છે, જેથી મતદાતાઓ સમજી શકે કે તે સ્વૈચ્છિક છે.
નકલી મતદાતા કાર્ડ મામલે વિવાદ
નકલી મતદાર કાર્ડ અંગેના તાજેતરના વિવાદની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. વિપક્ષ તૃણમૂલ કોંગ્રેસે અલગ અલગ રાજ્યોમાં નાગરિકોને આપવામાં આવતા એક જ વોટર કાર્ડ નંબર વિશે ચિંતા વ્યક્ત કરી છે અને ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો છે કે, ભાજપને ફાયદો પહોંચાડવા માટે મતદાર યાદીમાં હેરાફેરી કરવામાં આવી રહી છે. હાલમાં જ લોકસભા સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ પણ આ વાત પર ભાર મૂક્યો હતો.
ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કોલકાતામાં પાર્ટીની બેઠકમાં ડુપ્લિકેટ ઇપીઆઈસી નંબરોનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિવાદ ફાટી નીકળ્યો હતો. બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને મતદાર યાદી સાથે ચેડા કરવા માટે કામ કરી રહ્યું છે.
તેના જવાબમાં, ચૂંટણી પંચે આ સમસ્યાનો સ્વીકાર કર્યો હતો અને ધ્યાન દોર્યું હતું કે રાજ્યના કેટલાક મુખ્ય ચૂંટણી અધિકારીઓએ ઇપીઆઇસી નંબરો બનાવતી વખતે ખોટી રીતે આલ્ફાન્યૂમેરિક સિક્વન્સનો ઉપયોગ કર્યો હતો. આ પરિસ્થિતિના નિરાકરણ માટે ચૂંટણી પંચે અસરગ્રસ્ત મતદારોને ત્રણ મહિનાની સમયમર્યાદામાં ઇપીઆઇસી નંબર બદલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.