(અમિતાભ સિન્હા) દેવભૂમિ ઉત્તરાખંડમાં હિમાલયના પવર્તીય વિસ્તારો પર હાલ મોટું જોખમ ટોળાઇ રહ્યુ છે. ઉત્તરાખંડના જોશીમઠ સહિત ઘણા વિસ્તારોમાં જમીન ધસી પડવાની તેમજ રોડ-રસ્તાઓ અને મકાનોમાં તિરાડો પડવાની ગંભીર ઘટનાઓ બની રહી છે, જેના પગલે આ વિસ્તારમાં રહેલા લોકો દહેશત ફેલાઇ છે. જોશીમઠમાં મકાન અને રોડ-રસ્તાઓ પર આવી તિરાડો દેખાવવી એ કોઇ પહેલી ઘટના નથી. જોશીમઠ શહેર અને તેની આસપાસ ઘણા વિસ્તારોમાં વર્ષોથી આવી તિરાડો જોવા મળી રહી છે. જોકે આ વખતે નિષ્ણાતો ગંભીર સ્વરમાં જણાવ્યું કે, આ તિરાડો અગાઉની તુલનાએ વધારે ઊંડી છે તેથી તે ચિંતાજનક બાબત છે.
આ સમસ્યાનું કારણ
દેહરાદૂન (Dehradun)માં આવેલા વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના (Wadia Institute of Himalayan Geology) ડિરેક્ટર કાલાચંદ સેન કહે છે, “વર્તમાનમાં સર્જાયેલી પરસ્થિતિ ઘણા પરિબળોનું પરિણામ છે. તે કુદરતી અને માનવસર્જિત બંને છે.”

તેઓ જણાવે છે કે, “જોશીમઠની માટી નબળી – નરમ છે. અહીંની જમીન ભૂસ્ખલનથી આવેલા કાટમાળ એકઠો થવાથી બનેલી છે. આ પ્રદેશ અત્યંત ભૂકંપ સંવેદનશીલ ઝોન પણ છે. આડેધડ બાંધકામ, વસ્તીનું વધતું દબાણ, પ્રવાસીઓ માટે હોટેલ સહિતનિ વિવિધ સુવિધાઓ, પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ, વિકાસની કામગીરીઓ આ તમામ પરિબળો એ હાલની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. હાલ સવાલ એ છે કે હવે શું કરી શકાય? આ એવી પ્રક્રિયાઓ નથી જેને ઉલટાવી શકાય.”
50 વર્ષ પહેલા અપાઇ હતી ચેતવણી
કાલાચંદ સેન કહે છે કે જોશીમઠ વિશે સૌપ્રથમ ચેતવણી 50 વર્ષ પહેલા આપવામાં આવી હતી. તેઓ કહે છે, “લગભગ 50 વર્ષ પહેલા એમસી મિશ્રા કમિટીના રિપોર્ટમાં જોશીમઠને લઈને ચેતવણી આપવામાં આવી હતી. આ અહેવાલમાં આડેધડ અને અણઘડ વિકાસ કામગીરીના જોખમો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સાથે જ કુદરતી નબળાઈઓને પણ ઓળખી કાઢવામાં આવી હતી. ત્યારથી ઘણા અભ્યાસો થયા છે અને બધાએ લગભગ એક સમાન ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ ત્યારબાદથી આ શહેર અનેક ગણું વિકસીત અન વિસ્તરણ પામ્યું છે.
જોશીમઠ એ ઓછામાં ઓછા ત્રણ મહત્વપૂર્ણ તીર્થસ્થળો – બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને શંકરાચાર્ય મંદિર તરફ જતા પ્રવાસીઓ માટે મહત્વનું કેન્દ્ર છે. તેને ધ્યાનમાં રાખીને માળખાંકીય વિકાસની કામગીરી મોટા પાયે કરવામાં આવી હતી. સમસ્યા માત્ર એ જ નથી કે આ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે, વિકાસની આ કામગીરીઓ બિનઆયોજિત અને મોટાભાગના કિસ્સામાં અવૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે તે સૌથી મોટી સમસ્યા છે.
જોશીમઠની જમીન ‘નરમ’
જોશીમઠની મુખ્ય સમસ્યા એ છે કે આ શહેર નરમ ચી જમીન પર વસેલું છે. આ માટી કોઇ સમયના ભૂકંપના કારણે થયેલા ભૂસ્ખલનથી જમા થયેલી છે. ગ્લેશિયોલોજિસ્ટ ડીપી ડોવલ કહે છે કે આ વિસ્તાર એક સમયે હિમનદીઓ હેઠળ હતો. એટલા માટે અહીંની માટી મોટા બાંધકામોને ટેકો આપતી નથી.

ઉત્તરાખંડના અનેક શહેરો પર ખતરો
ડોભાલ કહે છે, “જોશીમઠ એકમાત્ર શહેર નથી જે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં આવી સમસ્યાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને એવા શહેરોમાં જે દરિયાની સપાટીથી 5,000 ફૂટથી ઉપર છે. લોકો વર્ષોથી આ વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે કારણ કે આ જગ્યા ભૂસ્ખલનના પરિણામે કાટમાળ એકઠો થવાને કારણે પ્રમાણમાં સપાટ જમીન ધરાવે છે. તિરાડો કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતે આપણે જે દેખાઇ રહ્યું છે તે ચોક્કસપણે પહેલા કરતા વધુ ગંભીર અને ખતરનાક લાગે છે.”
ડ્રેનેજ સિસ્ટમના અભાવે સમસ્યા વધુ વકરી છે. આડેધડ બાંધકામ વારંવાર પાણીના કુદરતી પ્રવાહને અવરોધે છે, જેના કારણે પાણીને નવો રસ્તો બનાવવાની જરૂર પડે છે.