Andhra Pradesh Train Accident : આંધ્ર પ્રદેશના વિજયનગરમમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી છે. બે પેસેન્જર ટ્રેનો વચ્ચે ટક્કર થઇ છે. જેના કારણે ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 વ્યક્તિના મોત થયા છે જ્યારે 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. આ મામલે પીએમ નરેન્દ્ર મોદીએ રેલવે મંત્રી સાથે વાત કરી છે.
ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક ટ્રેન પાટા પર ઉભી હતી તે જ ટ્રેક પર બીજી ટ્રેન ફુલ સ્પીડે આવી અને ટક્કર મારી હતી. હવે આમાં દોષ કોનો હતો, બેદરકારી શું હતી કોની હતી તે તપાસ કર્યા પછી ખબર પડશે. અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.
જિલ્લાના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં રવિવારે મોડી રાત્રે બે ટ્રેનો ટકરાતાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર સ્થાનિક પ્રશાસન અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ને જાણ કરવામાં આવી હતી અને અકસ્માત રાહત ટ્રેનો સ્થળ પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો – કેરળ બ્લાસ્ટની જવાબદારી લેનાર વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું
મળતી માહિતી અનુસાર કોઠાવલસા મંડલ (બ્લોક)માં કંટાકપલ્લીની વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર (ટ્રેન નં. 08532) ટ્રેનની ટક્કર પછી વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર (ટ્રેન નંબર 08504) ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
સીએમ ઓફિસ તરફથી એક નિવેદનમાં જણાવાયું કે આંધ્રના સીએમ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને ઝડપી રાહતના પગલાં લેવા અને ઘાયલોને તાત્કાલિક તબીબી સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.
સીએમઓ આંધ્ર પ્રદેશે એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું હતું કે મુખ્યમંત્રીએ વિજયનગરમ જિલ્લામાં કાંતાકાપલ્લી ટ્રેન અકસ્માતની ઘટના પર આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને ઝડપી રાહતનાં પગલાં લેવા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.