Samudrayaan Project Mission : ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ‘સમુદ્રયાન’ મિશનનો વારો છે. ભારતીય વૈજ્ઞાનિકોની નજર હવે સમુદ્રની ઊંડાઈ પર છે અને તેના માટે ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. તેનો હેતુ કોબાલ્ટ, નિકલ અને મેંગેનીઝ જેવી કિંમતી ધાતુઓ અને ખનિજોની શોધ કરવાનો છે. આ માટે ત્રણ વૈજ્ઞાનિકોને સબમરીનમાં 6000 મીટર પાણીની અંદર મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સબમરીનનું નામ ‘મત્સ્ય 6000’ હશે.
શું છે યોજના?
સબમરીન બનાવવામાં લગભગ બે વર્ષ લાગ્યા છે. તેનું પ્રથમ પરીક્ષણ 2024 ની શરૂઆતમાં ચેન્નાઈના કિનારે બંગાળની ખાડીમાં કરવામાં આવશે. પ્રવાસીઓને લઈ જતી વખતે તાજેતરમાં ટાઈટન વિસ્ફોટ થયા પછી, વૈજ્ઞાનિકો તેની ડિઝાઇન પર નજીકથી નજર રાખી રહ્યા છે.
પ્રથમ ટ્રાયલ ક્યારે થશે?
‘મત્સ્ય 6000’ સબમરીનના નિર્માણમાં રોકાયેલા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીના વૈજ્ઞાનિકો તેની અંતિમ સમીક્ષા કરી રહ્યા છે. ડીપ ઓશન મિશનના ભાગરૂપે સમુદ્રયાન મિશન ચાલી રહ્યું છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે, “અમે 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 500 મીટરની ઊંડાઈએ સમુદ્રી પરીક્ષણો હાથ ધરીશું. આ મિશન 2026 સુધીમાં સાકાર થવાની અપેક્ષા છે. માત્ર યુએસ, રશિયા, જાપાન, ફ્રાન્સ અને ચીને માનવસહિત સબમર્સિબલ લોન્ચ કરી છે.
આનાથી શું ફાયદો થશે?
કોબાલ્ટ, મેંગેનીઝ અને નિકલ ઉપરાંત રાસાયણિક જૈવવિવિધતા, હાઇડ્રોથર્મલ વેન્ટ્સ અને નીચા-તાપમાન મિથેનનું સંશોધન કરવામાં આવશે. આ મિશનમાં ભારત ‘મત્સ્ય’ સબમર્સિબલમાં ત્રણ લોકોને મોકલશે.
આ સબમર્સિબલ 6000 મીટરની ઊંડાઈ સુધીના દબાણને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ સબમર્સિબલ પાણીની અંદર 12 થી 16 કલાક સુધી સતત કામ કરી શકે છે. તેમાં 96 કલાક માટે પૂરતી ઓક્સિજન સિસ્ટમ હશે. ‘મત્સ્ય’ 6000 સબમર્સિબલ્સ દરિયામાં જહાજના સંપર્કમાં રહેશે. મત્સ્ય 6000નું વજન 25 ટન છે અને તે 9 મીટર લાંબુ અને 4 મીટર પહોળું છે.