Womens Reservation Bill: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી હતી. હવે તે કાયદો બની ગયો છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તરત જ કેન્દ્ર સરકારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ એક ઐતિહાસિક બિલ છે, જેના અમલીકરણની કવાયત લાંબા સમયથી ચાલી રહી હતી. આ મહિનાની શરૂઆતમાં સંસદના વિશેષ સત્ર દરમિયાન તે લોકસભા અને રાજ્યસભા દ્વારા બધાની સહમતિથી પસાર કરવામાં આવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યા પહેલા ગુરુવારે (28 સપ્ટેમ્બર) સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણ સુધારા બિલ પર હસ્તાક્ષર કર્યા હતા.
શું છે કાયદો, ક્યારે અમલમાં આવશે?
આ બિલને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ નામ આપવામાં આવ્યું છે, જેને હવે આર્ટિકલ 334એ તરીકે બંધારણમાં સામેલ કરવામાં આવશે. આ કાયદામાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપે છે. જોકે તેને લાગુ કરવામાં થોડો સમય લાગશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં સવાલો ઉઠાવ્યા હતા કે સરકારે તેને લાગુ કરવામાં વિલંબ ન કરવો જોઈએ.
આ પણ વાંચો – શું ભાજપ શિવરાજ સિંહ ચૌહાણને ટિકિટ નહીં આપે? કોંગ્રેસે કટાક્ષ કરીને મોટો સવાલ કર્યો
-છેલ્લા 27 વર્ષથી મહિલા અનામત બિલની માંગ કરવામાં આવી રહી હતી. હવે સંસદ અને રાજ્ય વિધાનસભાની 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત થઇ જશે.
-આ બિલ અનુસાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોમાંથી એક તૃતિયાંશ બેઠકો એસસી-એસટી સમુદાયમાંથી આવતી મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
આ અનામત બેઠકો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ વિસ્તારોમાં રોટેશન સિસ્ટમ દ્વારા ફાળવી શકાય છે. મહિલા અનામત બિલ મુજબ મહિલાઓ માટે સીટોનું અનામત 15 વર્ષ માટે જ રહેશે.
આ બિલમાં પ્રસ્તાવ છે કે લોકસભાની દરેક ચૂંટણી બાદ અનામત બેઠકોને રોટેટ કરવી જોઈએ. અનામત બેઠકો રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના જુદા જુદા મતવિસ્તારોમાં રોટેશન દ્વારા ફાળવી શકાય છે. પરંતુ આ વધારે જલ્દી થશે નહીં, ખાસ કરીને 2024ની લોકસભા ચૂંટણીમાં લાગુ થશે નહીં. આ આગામી વસ્તી ગણતરી અને ત્યારબાદના સીમાંકન પછી જ અમલમાં આવશે.