Maharashtra Political Crisis : મહારાષ્ટ્રમાં એનસીપીમાં ચાલી રહેલી ખેંચતાણમાં રોજ-રોજ નવી-નવી વાતો સામે આવે છે. અજિત પવાર જૂથ અને શરદ પવાર જૂથની અલગ-અલગ બેઠક ચાલી રહી છે. વિભિન્ન મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અજિત પવાર જૂથની બેઠકમાં એનસીપીના 53માંથી 35 ધારાસભ્યો હાજર છે, જ્યારે શરદ પવારની બેઠકમાં ફક્ત 13 ધારાસભ્યો હાજર છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર હજુ પણ તેમને ટેકો આપતા ધારાસભ્યોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ફોન પર બેઠકમાં સામેલ ન થયેલા ધારાસભ્યો સાથે વાત કરી રહ્યા છે. અજીત પવાર જૂથનો દાવો છે કે તેમની પાસે 42 ધારાસભ્યો અને 3 એમએલસીનું સમર્થન છે.
શરદ પવાર જૂથમાં 13 ધારાસભ્યો પહોંચ્યા
સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે મુંબઈના વાયબી ચવ્હાણ સેન્ટરમાં શરદ પવારના નેતૃત્વમાં મીટિંગ ચાલી રહી છે. જ્યાં 13 ધારાસભ્યો, 3 એમએલસી અને 5 સાંસદો હાજર છે. આ 13 ધારાસભ્યોમાં અનિલ દેશમુખ, રોહિત પવાર, રાજેન્દ્ર શિંગણે, અશોક પવાર, કિરણ લહમાટે, પ્રાજક્તા તાનપુરે, બાળાસાહેબ પાટિલ, જિતેન્દ્ર આવ્હાડ, ચેતન વિઠ્ઠલ તુપે, જયંત પાટિલ, રાજેશ ટોપે, સંદીપ ક્ષીરસાગર અને દેવેન્દ્ર ભુયારનો સમાવેશ થાય છે.
આ સાંસદો શરદ પવારની સાથે
એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ શરદ પવારની બેઠકમાં હાજર રહેલા 5 સાંસદોમાં શ્રીનિવાસ પાટિલ (લોકસભા), સુપ્રિયા સુલે (લોકસભા), અમોલ કોલ્હે (લોકસભા), ફૌઝિયા ખાન (રાજ્યસભા) અને વંદના ચવ્હાણ (રાજ્યસભા) સામેલ છે. આ ઉપરાંત આ બેઠકમાં એમએલસી શશીકાંત શિંદે, બાબાજાની દુરાની, એકનાથ ખડસે પણ હાજર છે.
આ પણ વાંચો – શરદ પવાર ‘હાથના કરેલા હૈયે વાગ્યા’, સત્તા માટે દાવપેચ ‘પવાર’ માટે નવું નથી
અજિત પવાર જૂથના ધારાસભ્યો
અજિત પવાર જૂથની બેઠકમાં અજિત પવાર સહિત 30 ધારાસભ્ય અને ચાર MLC પહોંચ્યા છે. આ બેઠકમાં છગન ભુજબળ, હસન મુશ્રીફ, નરહરી ઝિરવાલ, દિલીપ મોહિતે, અનિલ પાટીલ, માણિક રાવ, દિલીપ વાલસે પાટીલ, અદિતિ તટકરે, ધનંજય મુંડે, ધર્મરાવ અત્રામ, અન્ના બંસોડ, નીલેશ લંકે, ઈન્દ્રનીલ નાઈક, સુનીલ શેલ્કે, દત્તાત્રય ભરણે, સંજય બંસોડ, સંગ્રામ જગતાપ, દિલીપ બનકર, સુનીલ ટીંગરે, બાલાસાહેબ અજાબે, દીપક ચવ્હાણ, યશવંત માને, નીતિન પવાર, શેખર નિકમ, સંજય શિંદે, રાજુ કોરમારે, બબનરાવ શિંદે પહોંચ્યા છે.
બેઠક પહેલા અજીત પવારે ફરકાવ્યો ઝંડો
પોતાના જૂથની બેઠક પહેલા મહારાષ્ટ્ર સરકારમાં ડેપ્યુટી સીએમ અજીત પવારે ધ્વજ ફરકાવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે બધાં અહીં છીએ. ચિંતા કરવાની કોઈ વાત નથી. પ્રફુલ પટેલે બેઠક પહેલા પૂરતી સંખ્યામાં ધારાસભ્યોના સમર્થનની પણ વાત કરી હતી.
મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા છગન ભુજબળે કહ્યું કે અમારી પાસે સંખ્યાબળ છે. તેમણે કહ્યું કે અમારી પાસે 40 થી વધુ ધારાસભ્યો અને એમએલસી છે. શપથ લેતા પહેલા અમે તમામ સાવચેતી રાખી છે. અમે અમ જ શપથ લીધા નથી.