Doctors Uid Register : મેડિકલ પ્રેક્ટિસ કરનારા તમામ ડોક્ટર્સ માટે નેશનલ મેડિકલ કમિશન (NMC)માં રજિસ્ટ્રેશન જરૂરી બન્યું છે. તેમને દેશમાં પ્રેક્ટિસ માટે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UID) આપવામાં આવશે. આ અંગે ગઇકાલે મંગળવારે અધિકારીઓએ માહિતી આપી હતી.
NMC મેમ્બર એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ ડૉ. યોગેન્દ્ર મલિકે જણાવ્યું હતું કે, નેશનલ મેડિકલ રજિસ્ટર (NMR)ને પાયલોટ પ્રોજેક્ટ તરીકે છ મહિનામાં લોન્ચ કરવામાં આવશે અને તે કદાચ 2024ના અંત સુધીમાં તૈયાર થઈ જશે.
તબીબો રજિસ્ટરમાં તેમની લાયકાત, ફેલોશિપ અને અન્ય અભ્યાસક્રમોની વિગતો અપડેટ કરી શકશે. દેશના ટોચના મેડિકલ રેગ્યુલેટર હેઠળના એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડના ડૉ. યોગેન્દ્ર મલિકે જણાવ્યું હતું કે, આ સેન્ટ્રલાઇઝ્ડ રિપોઝીટરી લોકોને તેમના ડૉક્ટરના ઓળખપત્રો તપાસવાની મંજૂરી આપશે.
દેશભરની આઠ કોલેજ જેમાં ચાર ખાનગી અને ચાર સરકારી કોલેજ સામેલ છે. તેમાં પહેલેથી જ મૂલ્યાંકન પ્રણાલી માટે પાયલોટ તૈયાર છે. જે હેઠળ રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ હવે આ પ્રક્રિયાને અંતિમ ચરણ તરફ લઇ જવા માટે મૂલ્યાંકનકર્તાઓ અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કરી રહ્યા છે.
મહત્વનું છે કે, તબીબોને આપેલું “યુનિક આઈડી એક બેંક ખાતા જેવું હશે. આ વિશે NMCના મેમ્બરે મલિકે વધુમાં જણાવ્યું હતુ કે, ‘યુનિક આઈડીમાં ડોક્ટરો વિશેની તમામ માહિતી હશે. વિવિધ હિસ્સેદારો જેમ કે એનએમસી હેઠળના બોર્ડ, સંસ્થાઓ કે જે ડોકટરોને નોકરી આપે છે અથવા મેડિકલ કોલેજો જ્યાં તેઓ વધુ શિક્ષણ માટે જાય છે, અને લોકો પાસે જરૂરિયાત મુજબ ડેટાના વિવિધ સ્તરોની ઍક્સેસ હશે.’
આ સાથે મલિકે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, નેશનલ મેડિકલ કમિશન આગામી છ મહિનામાં IT પ્લેટફોર્મનું પરીક્ષણ કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરશે.
આ પણ વાંચો : Less Rainfall In October: દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 123 વર્ષમાં છઠ્ઠીવાર સૌથી ડ્રાય ઓક્ટોબર, 60% ઓછો વરસાદ
નવા રજિસ્ટરથી ડોક્ટરોને અનેક રાજ્યોમાં પ્રેક્ટિસ કરવા માટે લાયસન્સ મેળવવાની છૂટ મળશે. સ્ટેટ મેડિકલ કાઉન્સિલના ડેટાનો ઉપયોગ વર્તમાન ભારતીય મેડિકલ રજિસ્ટર બનાવવા માટે કરવામાં આવ્યો હતો જેને આ નવા રજિસ્ટર દ્વારા બદલવામાં આવશે. તેમાં નોંધણી નંબર, નોંધણીની તારીખ, કામનું સ્થળ, તબીબી લાયકાત, વિશેષતા, યુનિવર્સિટી જ્યાંથી લાયકાત મેળવી હતી અને પાસ થવાનું વર્ષ જેવી વિગતોનો સમાવેશ થશે. નોંધણી દર પાંચ વર્ષે અપડેટ કરવાનું રહેશે તેમ મલિકે જણાવ્યું હતું.