Maratha Reservation : મહારાષ્ટ્રમાં આ સમયે મરાઠાઓને ઓબીસીની યાદીમાં સમાવવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે, પરંતુ અજિત પવારના સાથી છગન ભુજબળનો આ મુદ્દે સાવ જુદો મત છે. જેના માટે તેમને મરાઠાઓના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. છગન ભુજબળ નથી ઇચ્છતા કે મરાઠાઓને ઓબીસીની યાદીમાં સામેલ કરવામાં આવે.
જસ્ટિસ સંદીપ શિંદેની સમિતિને ખતમ કરવા અને મરાઠાઓને કુનબી સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયાને અટકાવવાની માંગણીના એક દિવસ પછી મહારાષ્ટ્રના મંત્રી અને અગ્રણી ઓબીસી નેતા છગન ભુજબળનું આ નિવેદન બાદ સામે આવ્યું છે. ભુજબળે કહ્યું કે ઓબીસી મરાઠાઓને સંપૂર્ણ અનામત આપવાનો વિરોધ કરવાનું યથાવત્ રાખીશું.
છગન ભુજબળે કહ્યું કે મરાઠા સમુદાય માટે સંપૂર્ણ અનામતની માંગ સાથે અમે ક્યારેય સંમત નહીં થઈએ. તે કાયદાના દાયરામાં પણ બંધ બેસતું નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે મરાઠા સમુદાયને ઓબીસી કેટેગરીમાં સામેલ કરી શકાતો નથી કારણ કે તે પછાત જાતિ નથી. મરાઠાઓને ઓબીસી કેટેગરીમાં રાખવાની માગણી વાજબી નથી.
અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી સાથે જોડાયેલા આ મંત્રીએ કહ્યું હતું કે મરાઠા સમાજને અનામત મળવી જોઈએ. અમે આ અંગે તેમને અમારો ટેકો આપીએ છીએ. બંધારણમાં જોગવાઈ છે. જરૂર પડ્યે સરકાર આર્થિક અને શૈક્ષણિક આધાર પર સમુદાયને અલગથી અનામત આપી શકે છે. અમે તેનો વિરોધ કરી રહ્યા નથી પરંતુ મરાઠા સમાજને કુનબી કેટેગરીમાં અનામત મળવી જોઇએ નહીં.
આ પણ વાંચો – એકનાથ શિંદે અને અજીત પવારની સાથે ભાજપ કેટલી લોકસભા સીટ પર લડશે ચૂંટણી? દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યો 2024નો પ્લાન
રવિવારે હિંગોલીના રામલીલા મેદાનમાં ઓબીસી સમુદાયની એલ્ગાર રેલીમાં મિનિસ્ટર છગન ભુજબળે આક્રમક તેવર બતાવતા કહ્યું કે રીતે મરાઠા અનામત માટે રચાયેલી ભૂતપૂર્વ જજ-શિંદે કમિટીને બરખાસ્ત કરવા અને ઇસ્યુ કરાયેલા નકલી કુનબી સર્ટિફિકેટને તાત્કાલિક રદ કરવાની માગણી કરી હતી.
છગન ભુજબળે કહ્યું કે શરૂઆતમાં એવી માંગ કરવામાં આવી હતી કે મરાઠાવાડાના મરાઠાઓ કે જેઓ કુનબી છે તેમને કુનબી પ્રમાણપત્ર આપવામાં આવે. તેઓએ માંગ કરી હતી કે નિઝામ-યુગના દસ્તાવેજોની તપાસ કરવામાં આવે અને તેમને કુનબી પ્રમાણપત્ર આપવામાં આવે. આ માટે તેલંગાણામાં પુરાવા શોધવા માટે કેટલાક લોકોની નિમણૂક કરવામાં આવી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જસ્ટિસ શિંદે કમિટીની નિમણૂક કરી. જ્યારે મને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મેં મુખ્યમંત્રીને કહ્યું કે મને કોઈ વાંધો નથી.
તેમણે કહ્યું કે જો તપાસ દરમિયાન પુરાવા મળે છે તો તે પરિવારો આપમેળે ઓબીસી કેટેગરીમાં આવે છે. સમિતિએ કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં 5,000 રેકોર્ડ મળ્યા હતા. પછી આંકડો વધવા લાગ્યો. તેઓએ સમગ્ર મહારાષ્ટ્રમાં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ અમે ક્યારેય સમિતિને સમગ્ર મહારાષ્ટ્રમાં કામ કરવાનું કહ્યું ન હતું. કુનબી પશ્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભમાં હાજર છે. તેમની પાસે પહેલેથી જ કુનબી જાતિનું પ્રમાણપત્ર છે. આ સમિતિનું કામ નિઝામ-યુગના દસ્તાવેજો અને વંશાવળીની તપાસ કરવા પૂરતું મર્યાદિત હતું. મરાઠાવાડામાં કામ પતી ગયું છે. તેથી સમિતિને ભંગ કરી દેવી જોઈએ.