Maharashtra Accident : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રવિવારે સવારે હાઇ સ્પીડમાં મુસાફરી કરી રહેલી એક મિની બસ કન્ટેનર સાથે અથડાતાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ખાનગી બસમાં 35 મુસાફરો હતા. પીએમ મોદીએ અકસ્માતમાં ઘાયલો અને મૃતકો માટે વળતરની જાહેરાત કરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના મુંબઈથી લગભગ 350 કિમી દૂર જિલ્લાના એક્સપ્રેસ વેના વૈજાપુર વિસ્તારમાં સવારે 12.30 વાગ્યે થઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે બસ પાછળથી કન્ટેનર સાથે અથડાઈ. તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં 12 મુસાફરોના મોત થયા છે. મૃતકોમાં પાંચ પુરૂષ, છ મહિલાઓ અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે, 23 અન્ય મુસાફરો ઘાયલ થયા છે અને તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘાયલ અને મૃતકો માટે વળતરની જાહેરાત
છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં થયેલા અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પીડિતોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના સીએમઓએ કહ્યું કે, ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે.
મુસાફરો બુલઢાણાથી નાસિક થઈને છત્રપતિ સંભાજીનગર જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, પેસેન્જર બસ યાત્રા બાદ બુલઢાણાથી નાસિક થઈને છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) જઈ રહી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, “કન્ટેનર બુલઢાણાથી છત્રપતિ સંભાજીનગર તરફ આવી રહ્યું હતું અને હાઇવેની બાજુમાં થોડા સમય માટે અટકી ગયું હતું જ્યારે અચાનક બસ પાછળથી અથડાઈ હતી,” અધિકારીએ જણાવ્યું હતું. યાત્રીઓ બુલઢાણાની પ્રખ્યાત સાંઈ બાબા દરગાહના દર્શન કર્યા બાદ નાસિક તરફ જઈ રહ્યા હતા. ઈજાગ્રસ્તોને છત્રપતિ સંભાજીનગરની હોસ્પિટલ, કેટલાકને નાસિક અને કેટલાક ગંભીર કેસોને પુણેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ અકસ્માત અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ અને અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. ટક્કર એટલી જોરદાર હતી કે, કન્ટેનર વાહનનો આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. ઈન્સ્પેક્ટર, વૈજાપુર પોલીસે જણાવ્યું કે, 17 ઘાયલોની સારવાર છત્રપતિ સંભાજીનગરમાં ચાલી રહી છે, જ્યારે 6 ઘાયલોને સારવાર માટે વૈજાપુર ગ્રામીણ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો – એક વ્યક્તિનું મૃત્યુ, વાંદરો અર્થીને ગળે લગાવી રડ્યો, અંતિમ સંસ્કારમાં પણ લીધો ભાગ! VIDEO જોઈ તમે પણ ઈમોર્શનલ થઈ જશો
સમૃદ્ધિ હાઇવે જનતા માટે નહીં પરંતુ કોન્ટ્રાક્ટરો અને તેમને મળતા કમિશન માટે બનાવવામાં આવ્યો છે – સંજય રાઉત
શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કહ્યું, “આ સરકાર જવાબદારી નથી લઈ રહી. જે સમૃદ્ધિ મહામાર્ગ બનાવવામાં આવ્યો છે, તે જનતા માટે નથી, પરંતુ કોન્ટ્રાક્ટરો અને તેમને મળતા કમિશન માટે છે. અત્યાર સુધીમાં લગભગ 1 હજાર લોકો અકસ્માતનો ભોગ બન્યા છે, કોઈ મોતને ભેટ્યા છે તો કોઈ ઘાયલ થઈ રહ્યા છે, તેઓએ શું કર્યું? જવાબદારી કોણે લીધી? આ વિભાગના મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. તેઓ છેલ્લા 6 મહિનાથી શું કરી રહ્યા છે?”