Lok Sabha Election 2024 : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કથિત જાતીય સતામણીના આરોપોને લઈ પ્રથમ વખત વિરોધ ફાટી નીકળ્યો, ત્યારે તેને હરિયાણાના કુસ્તીબાજો સુધી મર્યાદિત મુદ્દા તરીકે જોવામાં આવ્યું હતું. મોટાભાગના પ્રદર્શનકારીઓ રાજ્યના જાટ સમુદાયના કુસ્તીબાજો હતા. ત્યારે ભાજપ માટે ચિંતાનો વિષય નહોતો. તે રાજ્યમાં બિન-જાટ મતવિસ્તાર બનાવવામા સફળ રહી છે. હરિયાણામાં આવતા વર્ષે જ વિધાનસભાની ચૂંટણી છે.
પરંતુ કુસ્તીબાજો દ્વારા બ્રિજ ભૂષણ પર લગાવવામાં આવેલા ગંભીર આરોપોની વિગતો સામે આવ્યા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પર કાર્યવાહી કરવાનું દબાણ વધી ગયું છે. આ આંદોલનનો પડઘો હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ પ્રભાવિત વિસ્તારોમાં અને ચૂંટણીગ્રસ્ત રાજ્ય રાજસ્થાનમાં સંભળાઈ રહી છે. કેન્દ્રએ હવે કુસ્તીબાજોને તાત્કાલિક પોલીસ કાર્યવાહીનું વચન આપીને તેમજ બ્રિજ ભૂષણ અને તેના પરિવારને WFIમાંથી હાંકી કાઢવાનું વચન આપીને તેના માટે સમય માંગ્યો છે.
ભાજપ યુપીમાં જાટ ફેક્ટરને અવગણી શકે નહીં
ભાજપને ખ્યાલ છે કે, તે હરિયાણામાં જાટ પરિબળને અવગણી શકે છે, પરંતુ યુપીમાં જાટ સમર્થનના ધોવાણના કારણે પહેલાથી જ પાર્ટી પીડાઈ રહી છે. યાદવ પરિબળનો સામનો કરવા જાટોનો ઉપયોગ કરીને, ભાજપે રાજ્યમાં સારો દેખાવ કર્યો છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં RLD (રાષ્ટ્રીય લોકદળ) એ આઠ બેઠકો જીતી હતી. આરએલડી જાટોનો જન આધાર ધરાવતી પાર્ટી હોવાનું કહેવાય છે. RLD અને તેની સાથી સમાજવાદી પાર્ટી બંનેએ જાટના ગઢ ગણાતા જિલ્લાઓમાં નગર પંચાયત અને નગર પાલિકા પ્રમુખોના પદ માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો.
પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી પોતે જાટ છે. તેમના જિલ્લા મુરાદાબાદમાં પણ ભાજપે ખાસ પ્રદર્શન કર્યું નથી. બીજેપીના અન્ય જાટ નેતાઓ જેમ કે સંજીવ બાલ્યાન (મુઝફ્ફરનગર) અને સત્યપાલ સિંહ (બાગપત)ના જિલ્લાઓમાં પણ આ વલણ ચાલુ રહ્યું. પાર્ટીએ જાટ પ્રભાવિત જિલ્લાઓમાં 56 મ્યુનિસિપલ ચેરપર્સન સીટોમાંથી માત્ર 20 અને 124 નગર પંચાયત ચેરપર્સન સીટોમાંથી 34 જ જીતી હતી.
જાટ સમુદાયનો પ્રભાવ
એવા સમયે જ્યારે ભાજપ 2024ની લોકસભા ચૂંટણી પહેલા મહત્તમ બેઠકો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે રાજ્યમાંથી આવી રહેલા આ સમાચાર ભાજપા માટે ચિંતાજનક છે. જાટ સમુદાયનું કેન્દ્ર યુપીના પશ્ચિમી જિલ્લાઓમાં છે. તેઓ મુખ્યત્વે શેરડીની ખેતી કરે છે અને રાજ્યનો સૌથી ધનિક ખેડૂત સમુદાય છે. એક ડઝન લોકસભા અને લગભગ 40 વિધાનસભા બેઠકો પર જાટ સમુદાયનો નોંધપાત્ર પ્રભાવ છે.
એકંદરે, રાજકીય રીતે શક્તિશાળી જાટ સમુદાય લગભગ 40 લોકસભા બેઠકો અને 160 વિધાનસભા બેઠકોના પરિણામોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ બેઠકો યુપી, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં ફેલાયેલી છે.
2014 પહેલા, યાદવ અને કુર્મી જેવા અન્ય ખેત સમુદાયોના ઉદય સાથે, જાટોનું વર્ચસ્વ ઘટતું જણાતું હતું. અલગ-અલગ પક્ષો પર નિર્ભર આરએલડીએ જાટોને બહુ ઓછું રાજકીય પ્રતિનિધિત્વ આપ્યું.
પશ્ચિમ યુપીમાં 2013ના મુઝફ્ફરનગર રમખાણો પછી આ બદલાઈ ગયું. આ રમખાણોમાં મોટાભાગે જાટ અને મુસ્લિમો સામેલ હતા. RLD નેતાઓ અજીત સિંહ અને જયંત ચૌધરીની પિતા-પુત્રની જોડી 2014ની લોકસભા ચૂંટણીમાં અને ફરીથી 2019માં ભાજપના ઉમેદવારો સામે હારી ગઈ હતી.
આ પણ વાંચો – નાણામંત્રી સીતારમણના જમાઈ પ્રતીક દોશી કોણ છે? PM મોદીની ‘આંખ-કાન’, ગુજરાતથી પહોંચ્યા PMO
2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે 15 જાટ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 14 જીત્યા હતા. આરએલડીના જૂના સ્થાપિત જાટ નેતાઓનો મુકાબલો કરવા માટે, ભાજપે સંજીવ બાલ્યાન અને સત્ય પાલ સિંહ (નિવૃત્ત IPS અધિકારી) જેવા નવા આવનારાઓને લાવ્યા અને તે સફળ રહ્યા.
જો કે, 2022ની વિધાનસભા ચૂંટણી સુધીમાં જાટોનું સમર્થન અલગ-અલગ પક્ષો વચ્ચે વહેંચાઈ ગયું છે. ભાજપ પાસે હાલમાં 10 જાટ, આરએલડીના ચાર અને એસપીના ત્રણ ધારાસભ્યો છે.