India China Talks: ભારત અને ચીનની સેના વચ્ચે કોર કમાન્ડર સ્તરની 19મી રાઉન્ડની વાતચીત 14 ઓગસ્ટને સોમવારના રોજ યોજાવાની છે. આ પહેલા એક મોટો ખુલાસો થયો છે. 15 જૂન 2020ના રોજ ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. ત્યાર બાદ ભારતે પૂર્વી લદ્દાખમાં સેનાની તૈનાતી વધારી દીધી હતી. ગલવાનમાં થયેલી અથડામણ બાદ ભારત ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર હતું. ભારતનો સ્પષ્ટ મત હતો કે જો ચીન દ્વારા કોઇ પણ નાપાક પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
68 હજાર સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા
ગલવાનમાં થયેલી આ અથડામણ બાદ ભારતીય વાયુસેનાએ દેશના અન્ય ભાગોમાંથી 68 હજારથી વધુ ભારતીય સૈનિકોને એરલિફ્ટ કરીને પૂર્વી લદ્દાખ પહોંચાડ્યા હતા. આ ઉપરાંત 90 ટેન્ક અને અન્ય હથિયારો પણ પૂર્વી લદ્દાખમાં પહોંચાડવામાં આવ્યા હતા. ગલવાન અથડામણ પછી ચીન પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુપ્ત માહિતી એકઠી કરવા માટે એસયુ-30 એમકેઆઇ અને જગુઆર ફાઇટર પણ તૈનાત કરવામાં આવ્યા છે.
મોટી સંખ્યામાં ફાઇટર જેટ તૈનાત કરવામાં આવ્યા હતા
રક્ષા અને સુરક્ષા પ્રતિષ્ઠાનના સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ લદ્દાખમાં હવાઇ પેટ્રોલિંગ માટે રાફેલ મિગ-29 સહિત મોટી સંખ્યામાં ફાઇટર જેટ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સાથે જ વાયુસેનાના વિવિધ વિમાનો દ્વારા દારૂગોળો અને અન્ય હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા. એસયુ-30 એમકેઆઇ અને જગુઆર ફાઇટર જેટની સર્વેલન્સ રેન્જ 50 કિ.મી.ની છે અને તેનાથી ચીની સૈનિકોની હિલચાલ પર નજર રાખવામાં આવે તે સુનિશ્ચિત થયું હતું.
આ પણ વાંચો – પીએમ મોદી અને શી જિનપિંગની મુલાકાત પહેલા ભારત-ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય મંત્રણા, આ બેઠક કેમ મહત્વપૂર્ણ છે
આ અથડામણ બાદ ભારતીય વાયુસેનાએ લડાકુ વિમાનના અનેક સ્ક્વોડ્રનને તૈયાર રાખ્યા હતા. એક રીતે જોઈએ તો આ સમગ્ર પ્રક્રિયા વાયુસેનાની વધતી જતી વ્યૂહાત્મક એરલિફ્ટ ક્ષમતાઓને પણ પ્રદર્શિત કરવાની હતી. વાયુસેનાએ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનું કામ કર્યું અને પોતાનું લક્ષ્ય પૂર્ણ કર્યું. આ ઓપરેશનનો હેતુ ભારતીય વાયુસેનાની વધતી જતી એરલિફ્ટ ક્ષમતાનું પ્રદર્શન કરવાનો પણ હતો.
વાયુસેનાએ પોતાની યુદ્ધ ક્ષમતા વધારવા માટે અનેક પગલાં ભર્યા
ગલવાનમાં થયેલી અથડામણ બાદ સરકાર પણ ઘણી સક્રિય બની હતી અને પૂર્વ લદ્દાખમાં 3500 કિલોમીટર લાંબા એલએસી પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપવાનું શરૂ કર્યું છે. આ પછી વાયુસેનાએ પોતાની યુદ્ધ ક્ષમતા વધારવા માટે અનેક પગલાં ભર્યા છે. અરુણાચલ પ્રદેશમાં એલએસી સાથે લાગતા પર્વતીય ક્ષેત્રમાં સામાનની સરળતાથી અવરજવર માટે એમ-777 અલ્ટ્રા લાઇટ તોપો પણ તૈનાત કરવામાં આવી છે.
ગલવાનમાં અથડામણ બાદ ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં પણ ઘાતક હથિયારો તૈનાત કર્યા છે. દુર્ગમ શ્રેત્રમાં સંચાલિત થનાર અમેરિકન બનાવટના વાહનો કાર્યરત છે. આ સાથે જ સેનાને ઈઝરાયલ તરફથી 7.62 એમએમ લાઈટ મશીનગન અને અન્ય ઘણા ઘાતક હથિયારોથી પણ સજ્જ કરવામાં આવ્યા છે.