Covid 19 Case In India: કોરોના વાયરસ ફરી એકવાર લોકોને ડરાવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, શનિવારે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા 3 હજારને પાર કરી ગઈ છે. ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 752 નવા કેસ મળી આવ્યા છે, જે મે 2023 પછીના એક દિવસમાં નોંધાયેલા કેસોની સૌથી વધુ સંખ્યા છે. 24 કલાકમાં કોવિડ-19 વાયરસના સંક્રમણને કારણે 4 દર્દીઓના મોત થયા છે.
શુક્રવારે દેશમાં કોવિડ-19ના 640 કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. તેના આગલા દિવસે કોરોના વાયરસના એક્ટિવ કેસ 2,669 થી વધીને 2,997 થયા અને શનિવારે આ આંકડો 3,420 પહોંચ્યો. શનિવારે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કેરળ (266), કર્ણાટક (70), મહારાષ્ટ્ર (15), તમિલનાડુ (13) અને ગુજરાત (12) જેવા રાજ્યો સહિત 17 રાજ્યોમાં કોવિડ-19 વાયરસના એક્ટિવ કેસ વધી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડને કારણે કેરળમાં 2, કર્ણાટક અને રાજસ્થાનમાં 1-1 દર્દીના મોત નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંકવધીને 5,33,332 થઈ ગયો છે અને કેસમાં મૃત્યુ દર 1.18 ટકા થયો છે. મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 325 લોકો કોવિડ-19માંથી સાજા થયા છે, જેનાથી કુલ રિકવરીનો આંકડો 4,44,71,212 થઈ ગયો છે. રાષ્ટ્રીય સ્તરે રિકવરી રેટ 98.81 ટકા નોંધાયો છે.
કોવિડના વધતા જતા કેસોને લઈને સરકારે એક નિવેદન બહાર પાડ્યું છે. સરકારે કહ્યું છે કે કોવિડ -19 કેસમાં વર્તમાન વધારો ચિંતાનો વિષય નથી. જનતાએ ગભરાવાની જરૂર નથી. જો કે, કેન્દ્ર સરકારે ગંભીર બીમારીથી પીડિત લોકોને માસ્ક પહેરવા સૂચન કર્યું છે.
આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે દેશભરમાં આરોગ્ય સુવિધાઓની સજ્જતાની સમીક્ષા કરી હતી. ઉપરાંત, કોવિડ-19ના બદલાતા સ્વરૂપ અંગે સજાગ રહેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, 21 ડિસેમ્બર સુધીમાં, કોવિડ સબ-વેરિઅન્ટ જે.એન. 1ના 22 કેસ નોંધાયા છે. તેમાંથી 21 કેસ ગોવામાં અને 1 કેસ કેરળ અને મહારાષ્ટ્રમાંથી નોંધાયા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) જેએન. 1 ઓમિક્રોન ગ્રૂપનો હોવાનું કહેવાય છે. જેએન.1 વેરિયન્ટ અત્યાર સુધી દુનિયાના 41 દેશોમાં ફેલાઇ ગયો છે. સંગઠને કહ્યું કે આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે ચિંતાજનક હોઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારતમાં જોવા મળેલા તમામ JN.1 કેસ ખૂબ જ હળવા છે. દર્દીઓ કોઈપણ સમસ્યા વિના ઝડપથી સાજા થઈ રહ્યા છે.