Dr Shyama Prasad Mukherjee Jayanti : ડો શ્યામા પ્રસાદ મુખર્જીની આજે 125મી જન્મ જયંતી છે. ડો શ્યામા પ્રસાદ મુખર્જી ભારતના મહાન સ્વતંત્ર સેનાની, રાજકારણી, કેબિનેટ મંત્રી શિક્ષણવિદ, સામાજિક કાર્યકર અને બેરિસ્ટર હતા. તેનો જન્મ 6 જુલાઇ 1901માં કલકત્તામાં થયો હતો. જનસંઘ પાર્ટીની સ્થાપના ડો શ્યામા પ્રસાદ મુખર્જી એ કરી હતી. આજે ડો શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતી પર પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી તેમને શ્રદ્ધાંજલી અર્પીત કરી છે.
ભારતીય જનસંઘના સ્થાપક અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મુખ્ય આદર્શોમાંના એક શ્યામાપ્રસાદ મુખરજીની આજે જન્મ જયંતી છે. મુખર્જી એવા નેતાઓમાંના એક હતા કે જેઓ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ના વિરોધી હતા. તેઓ ઇચ્છતા હતા કે કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો ભાગ બને અને કાયદો અન્ય રાજ્યોની સમકક્ષ હોવો જોઈએ. વિશેષ દરજ્જા સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો. તેમનો અભિપ્રાય એવો હતો કે એક દેશમાં બે નિશાન, બે કાયદા અને બે પ્રધાન ન ચાલી શકે.
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની વચગાળાની સરકારમાં મંત્રી રહેલા મુખર્જીએ તત્કાલીન વડાપ્રધાન પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ઈચ્છતા હતા કે કાશ્મીર જવા માટે કોઈએ પરવાનગી ન લેવી પડે. જો કે તે પોતે શ્રીનગર ગયા ત્યારે રસ્તામાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ માટે તેમને થોડાક દિવસ જેલમાં પસાર કરવા પડ્યા હતા.
તમને જણાવી દઇયે કે, નહેરુ સાથેના મતભેદ બાદ ડો શ્યામા પ્રસાદ મુખરજીએ સંઘચાલક ગુરુ ગોલવલકર સાથે પરામર્શ કર્યા બાદ 21 ઓક્ટોબર, 1951ના રોજ રાષ્ટ્રીય જનસંઘની સ્થાપના કરી હતી. આ પછી વર્ષ 1951-52માં જ્યારે સામાન્ય ચૂંટણી યોજાઈ ત્યારે જનસંઘના ત્રણ સાંસદો ચૂંટાઈને સંસદ ભવન પહોંચ્યા હતા. મુખરજી તેમાંના એક હતા.
બીબીસીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ સંપાદક ઈન્દર મલ્હોત્રાનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો, જેમણે કહ્યું હતું કે સામાન્ય ચૂંટણીઓ પછી તરત જ દિલ્હીની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને જનસંઘ વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. ચૂંટણીના માહોલમાં સંસદમાં બોલતા મુખર્જીએ કહ્યું કે, કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે વાઈન અને પૈસાનો ઉપયોગ કરી રહી છે. ઇન્દર મલ્હોત્રાએ નિર્દેશ કર્યો છે કે નહેરુએ આ આરોપનો સખત વિરોધ કર્યો હતો. જોકે, નહેરુ સમજી ગયા હતા કે મુખર્જીએ વાઇન અને વુમન કહ્યું હતું.
આના પર મુખર્જીએ કહ્યું, “તમે (નહેરુ) સત્તાવાર રેકોર્ડ ઉપાડો અને જુઓ કે મેં શું કહ્યું છે. જો કે નહેરુને જેવી ખબર પડી કે તેમણે ભૂલ કરી છે. તેઓ ગૃહમાં ઉભા થયા અને શ્યામા પ્રસાદ મુખર્જીની માફી માંગી. મુખરજીએ જવાબ આપ્યો, “તમારે માફી માંગવાની જરૂર નથી. ’