ED Summons Delhi CM Arvind Kejriwal : આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીઓ અટકે તેમ લાગતું નથી. હવે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મુખીયા અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં જ સીએમ કેજરીવાલને નોટિસ મોકલવામાં આવી છે. ઇડી દ્વારા તેમને 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
આ પહેલા મુખ્યમંત્રીને સીબીઆઈએ એપ્રિલ 2023માં પૂછપરછ માટે બોલાવી ચુકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીની નવી દારૂ નીતિ મામલે ઈડી દ્વારા કેજરીવાલની પૂછપરછ કરવામાં આવશે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની બેન્ચે મનીષ સિસોદિયા વિરુદ્ધ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને ઇડી (ઇડી) દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કેસો અંગે ચુકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રાયલ કોર્ટે આ કેસની સુનાવણી 6થી 8 મહિનામાં પૂરી કરે.
આ પણ વાંચો – ઇલેક્ટોરલ બોન્ડ પર કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું – લોકોને પાર્ટીઓની આવકનો સ્ત્રોત જાણવાનો અધિકાર નથી
ED દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલવા પર દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે અહેવાલ મુજબ સરકારની ઇડીએ દિલ્હીના સીએમને સમન્સ મોકલ્યું છે. તેનાથી સ્પષ્ટ થઇ જાય છે કે કેન્દ્રનો એકમાત્ર ઉદ્દેશ્ય કોઈ રીતે આપને ખતમ કરવાનો છે. સીએમ અરવિંદ કેજરીવાલને જેલમાં પુરવા અને આપને ખતમ કરવા માટે ખોટા કેસ બનાવવવામાં કોઇ કસર છોડવામાં આવી રહી નથી.
મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈ દ્વારા દિલ્હી આબકારી નીતિ કેસમાં તેમની ભૂમિકા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 9 માર્ચના રોજ ઈડીએ સીબીઆઈ એફઆઈઆરના આધારે મની લોન્ડ્રિંગ કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હી લીકર પોલિસી મામલે સીબીઆઈ અને ઈડીને ઘણા સવાલો પૂછ્યા હતા.
આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ હાઈ-પ્રોફાઈલ ધરપકડ કરવામાં આવી છે . આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આપના કોમ્યુનિકેશન ઈન-ચાર્જ વિજય નાયરનો સમાવેશ થાય છે.