scorecardresearch
Premium

Ayodhya Tour : અયોધ્યા માં રામ મંદિર સિવાય ક્યાં-ક્યાં ફરી શકો છો, કેવી રીતે જવાય? જોવા લાયક સ્થળ વિશે બધુ જ

Ayodhya Tour : અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે, જો તમે પણ રામ મંદિરની મુલાકાત લેવા માંગતા હોવ તો જોઈલો, કેવી રીતે અયોધ્યા જવાય અને અન્ય જોવા લાયક સ્થળો.

ayodhya tourist places
અયોધ્યા જોવા લાયક સ્થળો (તમામ ફોટા – https://uptourism.gov.in/)

Ayodhya Tourist Places : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા બાદ આજથી રામ મંદિરના દર્શન સામાન્ય લોકો માટે ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે. આજે પ્રથમ દિવસે જ બપોર સુધીમાં 3 લાખ લોકોએ રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કર્યા. શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ આ રીતે ચાલુ જ રહેશે. તો જો તમે પણ અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો, અહીં તમે રામ મંદિર સિવાય આ જોવા લાયક સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.

અયોધ્યા વિશેષ

અયોધ્યામાં જોવા લાયક સ્થળો વિશે વાત કરતા પહેલા તમને જણાવી દઈએ કે, અયોધ્યા સરયૂ નદી કિનારે વસેલી એક પ્રાચિન ઈતિહાસ ધરાવતી અને પુરાતન અવશેષોથી ભરેલુ નગર છે. અયોધ્યામાં અનેક પ્રખ્યાત રાજા ઇક્ષ્વાકુની જેમ પૃથુ, માંધાતા, હરિશ્ચંદ્ર, સાગર, ભગીરથ, રઘુ, દિલીપ, દશરથ અને રામ, કોસલ દેશની રાજધાની અયોધ્યાથી શાસન કર્યું. તેમના શાસન દરમિયાન રાજ્યનો મહિમા ચરમસીમાએ પહોંચ્યો અને રામ રાજ્યના પ્રતીક બની ગયુ.

પ્રખ્યાત મહાકાવ્ય રામાયણ અને શ્રી રામચરિતમાનસ અયોધ્યાની ઐશ્વર્ય દર્શાવે છે. રામાયણનો એક એપિસોડ, પ્રાચીન ઈતિહાસનું એક પૃષ્ઠ અને પ્રવાસી આકર્ષણોનો સમૂહ, આ શહેર યાત્રાળુઓ, ઈતિહાસકારો, પુરાતત્વવિદો અને વિદ્યાર્થીઓ માટે મુખ્ય કેન્દ્ર રહ્યું છે.

અયોધ્યા ના જોવાલાયક સ્થળો

(1) હનુમાન ગઢી

હનુમાન ગઢી કિલ્લાના આકારમાં બનેલ છે અને 76 સીડીઓ ચઢીને પહોંચી શકાય છે. આ તીર્થનગરમાં 10મી સદીના પ્રાચીન મંદિરો આવેલા છે. તેના દરેક ખૂણા પર ગોળાકાર કિલ્લેબંધી છે અને એવું માનવામાં આવે છે કે, આ તે સ્થાન છે, જ્યાં હનુમાનજી એક ગુફામાં રહેતા હતા અને શહેરનું રક્ષણ કર્યું હતું. આ મંદિરમાં હનુમાનજીની સુવર્ણ પ્રતિમા સ્થાપિત છે, તે અયોધ્યાના સૌથી પ્રતિષ્ઠિત સ્થાનોમાંથી એક માનવામાં આવે છે. દરરોજ હજારો ભક્તો ભગવાન હનુમાનની પૂજા કરવા અને દુષ્ટતાથી પોતાને બચાવવા અને સમૃદ્ધિ અને સુખ માટે હનુમાન ગઢીની મુલાકાત લે છે.

ayodhya tourist places
હનુમાન ગઢી (ફોટો – યુપી ટુરિઝમ)

(2) રામકોટ

રામકોટ એક એલિવેટેડ ભૂપ્રદેશ પર આવેલું છે અને મંદિરોથી ભરેલું છે, તે અયોધ્યાના મુખ્ય આકર્ષણોમાંનું એક છે. હિંદુ કેલેન્ડર અનુસાર, રામ નવમીનો તહેવાર અહીં ચૈત્ર મહિનામાં (માર્ચ-એપ્રિલ) ખૂબ જ ભવ્યતા અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સમયે, માત્ર દેશભરમાંથી જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં એકઠા થાય છે અને ભગવાન રામ પ્રત્યે તેમની ભક્તિ વ્યક્ત કરે છે.

(3) શ્રી નાગેશ્વરનાથ મંદિર

ભગવાન નાગેશ્વર નાથજીને અયોધ્યાના મુખ્ય દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન રામના પુત્ર કુશે ભગવાન નાગેશ્વરનાથને સમર્પિત આ સુંદર મંદિર બનાવ્યું હતું. અહીં સ્થાપિત શિવલિંગ ખૂબ જ પ્રાચીનકાળનું માનવામાં આવે છે. લોકકથાઓ અનુસાર, કુશ સરયુ નદીમાં સ્નાન કરી રહ્યો હતો ત્યારે તેની બાજુબંધ પાણીમાં પડી ગઈ. થોડી વાર પછી એક નાગ કન્યા ત્યાં દેખાઈ અને તેણે તેની બાજુબંધ તેમને પાછી આપી. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને ત્યારપછી આ મંદિર પણ કુશે તેમના માટે બનાવ્યું. અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને આદરણીય મંદિરોમાંનું એક હોવાને કારણે, મહાશિવરાત્રીના તહેવાર પર દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે. મંદિરની હાલની ઇમારત 1750 ઈ.વી.માં બનાવવામાં આવી હતી.

ayodhya tourist places
શ્રી નાગેશ્વરનાથ મંદિર (ફોટો – યુપી ટુરિઝમ)

(4) કનક ભવન

ટીકમગઢ (મધ્યપ્રદેશ) ની રાણી વૃષભાનુ કુંવારી એ 1891 માં આ સુંદર શણગારેલું મંદિર બનાવ્યું હતું. મુખ્ય મંદિરમાં આંતરિક ખુલ્લો વિસ્તાર છે, જ્યાં રામાપદનું પવિત્ર મંદિર છે. માતા સીતા અને ભગવાન રામ અને તેમના ત્રણ ભાઈઓની મૂર્તિઓ ખૂબ જ સુંદર લાગે છે.

ayodhya tourist places
કનક ભવન (ફોટો – યુપી ટુરિઝમ)

(5) તુલસી મેમોરિયલ બિલ્ડીંગ

તુલસી મેમોરિયલ બિલ્ડીંગ મહાન સંત કવિ ગોસ્વામી તુલસી દાસ જીને સમર્પિત છે. અહીં નિયમિત પ્રાર્થના સભાઓ, ભક્તિ સંમેલનો અને ધાર્મિક પ્રવચનોનું આયોજન કરવામાં આવે છે. આ સંકુલમાં અયોધ્યા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ સ્થિત છે, જેમાં ગોસ્વામી તુલસી દાસજી દ્વારા લખાયેલ ગ્રંથોનો સંગ્રહ છે. તુલસી મેમોરિયલ ઓડિટોરિયમમાં દરરોજ સાંજે 6:00 થી 9:00 વાગ્યા સુધી રામલીલાનું આયોજન પણ કરવામાં આવે છે, જે એક મુખ્ય આકર્ષણ છે.

ayodhya tourist places
તુલસી સ્મારક ભવન (ફોટો – યુપી ટુરિઝમ)

(6) ત્રેતા કે ઠાકુર

આ કાલા રામ મંદિરના નામથી પણ પ્રખ્યાત છે, એવું માનવામાં આવે છે કે, ભગવાન રામે આ સુંદર મંદિરમાં અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. કુલ્લુ (હિમાચલ પ્રદેશ) ના રાજાએ લગભગ ત્રણ સદીઓ પહેલા આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. બાદમાં ઈન્દોર (મધ્યપ્રદેશ) ના રાણી અહિલ્યાબાઈ હોલકરે તેનું નવીનીકરણ કરાવ્યું. અહીં સ્થાપિત મૂર્તિઓ કાળા પથ્થરની બનેલી છે. એવું માનવામાં આવે છે કે, આ મૂર્તિઓ રાજા વિક્રમાદિત્યના યુગની છે.

ayodhya tourist places
ત્રેતા કે ઠાકુર (ફોટો – યુપી ટુરિઝમ)

(7) અયોધ્યામાં જૈન મંદિર

આ માત્ર ભગવાન રામનું જન્મસ્થળ જ નથી પરંતુ, જૈનો માટે પણ ખૂબ મહત્વ ધરાવતું સ્થળ છે, એવું માનવામાં આવે છે કે, અહીં 5 જૈન તીર્થંકરોનો જન્મ થયો હતો. દર વર્ષે, અનુયાયીઓ આ મહાન સંતોને શ્રદ્ધાંજલિ આપવા અને વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં અહીં આવે છે. આ પવિત્ર શહેરમાં અનેક જૈન મંદિરો પણ છે, જેમાં સ્વર્ગદ્વાર પાસે ભગવાન આદિનાથનું મંદિર, ગોલાઘાટ પાસે ભગવાન અનંતનાથનું મંદિર, રામકોટમાં ભગવાન સુમનનાથનું મંદિર, સપ્તસાગર પાસે ભગવાન અજીતનાથનું મંદિર અને ભગવાન અભિનંદન નાથનું મંદિર છે. જે બધા જોવા લાયક છે. આ સિવાય રાણીગંજ વિસ્તારમાં એક વિશાળ જૈન મંદિરની સ્થાપના કરવામાં આવી છે, જેમાં પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ (ઋષભદેવજી)ની 21 ફૂટ ઊંચી પ્રતિમા વિશેષ રીતે સ્થાપિત છે.

ayodhya tourist places
જૈન મંદિર (ફોટો – યુપી ટુરિઝમ)

(8) મણિ પર્વત

એવું માનવામાં આવે છે કે, હનુમાનજી ઘાયલ લક્ષ્મણની સારવાર માટે સંજીવની ઔષધિ સાથે એક વિશાળ પર્વતને લંકા લઈ જઈ રહ્યા હતા, ત્યારે પર્વતનો કેટલોક ભાગ રસ્તામાં પડી ગયો. તેમાંથી બનેલી ટેકરી, જે 65 ફૂટ ઊંચી છે, તેને મણિ પર્વત તરીકે ઓળખવામાં આવે છે.

ayodhya tourist places
મણિ પર્વત (ફોટો – યુપી ટુરિઝમ)

(9) છોટી દેવકાલી મંદિર

નયા ઘાટ પાસે સ્થિત આ મંદિર હિંદુ મહાકાવ્ય મહાભારતની ઘણી દંતકથાઓ સાથે સંબંધિત છે. પૌરાણિક કથાઓ અનુસાર, માતા સીતા ભગવાન રામ સાથેના લગ્ન પછી દેવી ગિરિજાની મૂર્તિ સાથે અયોધ્યા આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે, રાજા દશરથે એક સુંદર મંદિર બનાવ્યું હતું અને આ મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરી હતી. માતા સીતા દરરોજ અહીં પૂજા કરતા હતી. હાલમાં તે દેવી દેવકાલીને સમર્પિત છે અને તેથી જ તેનું આ નામ પડ્યું.

ayodhya tourist places
છોટી દેવકાલી મંદિર (ફોટો – યુપી ટુરિઝમ)

(10) રામ કી પૈડી

સરયુ નદીના કિનારે અલગ-અલગ ઘાટો સ્થાપિત કરવામાં આવ્યા છે, જે અહીં આવતા ભક્તોને તેમના પાપો ધોવા માટે સ્થાન પ્રદાન કરે છે. અહીં લીલાછમ બગીચાઓ પણ છે જે મંદિરોથી ઘેરાયેલા છે. નદી કિનારા ખાસ કરીને રાત્રિના દૂધિયા પ્રકાશમાં એક મનોહર દૃશ્ય રજૂ કરે છે. આ ઘાટ પર શ્રદ્ધાળુઓ પવિત્ર નદીમાં ડૂબકી લગાવવા આવે છે અને એવી માન્યતા છે કે, આ નદીમાં ડૂબકી લગાવવાથી જ ભક્તોના પાપ ધોવાઈ જાય છે. સરયુ નદી ઘાટને પાણીનો સતત પુરવઠો પૂરો પાડે છે અને તેની જાળવણી ઉત્તર પ્રદેશ સરકારના સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

ayodhya tourist places
રામ કી પૈડી (ફોટો – યુપી ટુરિઝમ)

(11) સરયુ નદી

સરયુ નદી, ઉત્તર પ્રદેશના મુખ્ય જળમાર્ગોમાંની એક છે, જેનો ઉલ્લેખ વેદ અને રામાયણ જેવા પ્રાચીન હિંદુ ગ્રંથોમાં જોવા મળે છે. શાબ્દિક રીતે “જે પ્રવાહીત થઈ રહી છે” તરીકે અનુવાદિત, આ પ્રવાહ અયોધ્યામાંથી વહે છે અને માનવામાં આવે છે કે, તે શહેરને પુનર્યુવા બનાવી રાખે છે અને આ ધાર્મિક શહેરની અશુદ્ધિઓને ધોઈ નાખે છે. આ નદીમાં શ્રદ્ધાપૂર્વક ડૂબકી મારવા માટે આખા વર્ષ દરમિયાન હજારો ભક્તો અહીં વિવિધ ધાર્મિક પ્રસંગોએ આવે છે.

ayodhya tourist places
સરયૂ નદી (ફોટો – યુપી ટુરિઝમ)

(12) ક્વીન હો મેમોરિયલ પાર્ક

ઉત્તર પ્રદેશનું પવિત્ર શહેર અયોધ્યા દર વર્ષે સેંકડો દક્ષિણ કોરિયનોને પણ આકર્ષે છે, જેઓ અહીં પ્રખ્યાત ક્વીન ‘હો-હવાંગ ઓકે’ને શ્રદ્ધાંજલિ આપવા આવે છે. દંતકથા અનુસાર, રાણી ‘હો-હવાંગ ઓકે’, જેને પ્રિન્સેસ સૂરીરત્ના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 48 ઈ.સ.માં દક્ષિણ કોરિયાના ‘કરક’ વંશના રાજા કિમ સુરો સાથે લગ્ન કરીને ત્યાં સ્થાયી થયા તે પહેલાં અયોધ્યાની રાજકુમારી હતા. એવું માનવામાં આવે છે કે, તે બોટ દ્વારા કોરિયા પહોંચ્યા અને જ્યુમગ્વાન ગયાના રાજા સુરોની પ્રથમ રાણી બન્યા. તેણીએ લગ્ન કર્યા ત્યારે તેઓ 16 વર્ષના હતા અને તેમને ગયા રાજ્યની પ્રથમ રાણી માનવામાં આવે છે. તેમનું સ્મારક અયોધ્યામાં સ્થિત હોવાને કારણે કરક વંશના 60 લાખ લોકો આ શહેરને રાણી ‘હર-હવાંગ ઓકે’નું માતૃસ્થાન માને છે. અયોધ્યામાં આ સ્મારકનું પ્રથમવાર વર્ષ 2001 માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

(13) ગુરુદ્વારા

બ્રહ્મા કુંડ અને નજરબાગમાં સ્થિત ગુરુદ્વારા ગુરુ નાનક દેવ જી, ગુરુ તેગ બહાદુર જી અને ગુરુ ગોવિંદ સિંહ જી સાથે સંબંધિત છે. મોટી સંખ્યામાં અનુયાયીઓ આ ગુરુદ્વારાઓની મુલાકાત લે છે અને આદર સાથે માથું નમાવે છે.

ayodhya tourist places
ગુરૂદ્વારા (ફોટો – યુપી ટુરિઝમ)

(14) સુરજ કુંડ

આ અયોધ્યાથી 4 કિમીના અંતરે ચૌદ કોસી પરિક્રમા માર્ગ પર દર્શન નગરમાં આવેલું છે. સૂરજ કુંડ એક ખૂબ જ મોટું તળાવ છે, જે ચારે બાજુથી ઘાટોથી ઘેરાયેલું છે અને મુલાકાતીઓ માટે ખૂબ જ સુંદર દૃશ્ય રજૂ કરે છે. એવું માનવામાં આવે છે કે, અયોધ્યાના સૂર્યવંશી શાસકોએ ભગવાન સૂર્ય પ્રત્યે આદર દર્શાવવા માટે આ તળાવ બનાવ્યું હતું.

ayodhya tourist places
સૂરજ કુંડ (ફોટો – યુપી ટુરિઝમ)

(15) કુંડ અને ઘાટ

અહીંના પ્રસિદ્ધ ઘાટ અને કુંડ છે, જેમાં રાજ ઘાટ, રામ ઘાટ, લક્ષ્મણ ઘાટ, તુલસી ઘાટ, સ્વર્ગદ્વાર ઘાટ, જાનકી ઘાટ, વિદ્યા કુંડ, વિભીષણ કુંડ, દંત ધવન કુંડ, સીતા કુંડ વગેરે. અન્ય આકર્ષક સ્થળોમાં અમોવન મંદિર, દશરથ મહેલ, જાનકી મહેલ, લક્ષ્મણ કિલ્લો, લવ-કુશ મંદિર, મત્તજ્ઞાનદાજી મંદિર, રાજ ગદ્દી, શ્રી રામ જાનકી બિરલા મંદિર અને વાલ્મિકી રામાયણ ભવનનો સમાવેશ થાય છે.

ayodhya tourist places
કુંડ ઘાટ – (ફોટો – યુપી ટુરિઝમ)

(16) ગુલાબનો બગીચો (વાડી)

નામ સૂચવે છે તેમ, ગુલાબ વાડી એ ગુલાબનો બગીચો છે. વિશાળ બગીચાની અંદર શુજા-ઉદ-દૌલા અને તેમના પરિવારની કબર છે. આ બગીચાની સ્થાપના 1775 ઈ.સ. માં કરવામાં આવી હતી અને તેમાં ગુલાબની ઘણી પ્રજાતિઓ છે. ભવ્ય મકબરાનો એક વિશાળ ઘુમ્મટ છે અને તે દિવાલથી ઘેરાયેલો છે. આ સંકુલમાં પ્રવેશવા માટે બે મોટા દરવાજા છે.

ayodhya tourist places
ગુલાબનો બગીચો – (ફોટો – યુપી ટુરિઝમ)

(17) બહુ-બેગમનો મકબરો

આ બેગમ ઉમ્માતુઝ ઝોહરા બાનોનું અંતિમ વિશ્રામ સ્થાન છે, જે નવાબ શુજા-ઉદ-દૌલાની બેગમ હતી. આ સમાધિ અવધિ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. સમગ્ર સંકુલ હરિયાળીથી ભરેલું છે અને હવે તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) હેઠળ એક સંરક્ષિત સ્થળ છે અને શિયા બોર્ડ કમિટી (લખનૌ) દ્વારા તેની જાળવણી કરવામાં આવે છે. મોહરમ દરમિયાન તેની જીવંતતા જોવા જેવી છે. આ અયોધ્યાની સૌથી ઉંચી ઈમારત છે અને તેની ટોચ પરથી આખા શહેરનો સુંદર નજારો જોઈ શકાય છે.

ayodhya tourist places
બેગમ મકબરો (ફોટો – યુપી ટુરિઝમ)

(18) કંપની ગાર્ડન

આને ગુપ્તાર ઘાટ ગાર્ડન તરીકે પણ ઓળખાય છે, આ વિશાળ બોટનિકલ ગાર્ડન રોજિંદા જીવનની ચિંતાઓ ભૂલીને સહેલ કરવા, શાંતિ મેળવવા અને શહેરી વિસ્તારોની ધમાલથી મુક્ત, કુદરત સાથે એક થવા માટેનું ઉત્તમ સ્થળ છે. સરયુ નદીના કિનારે આવેલા આ બગીચામાં અસંખ્ય જાતની જડીબુટ્ટીઓ અને વૃક્ષો અહીં વાવેલા જોઈને કોઈ પણ દંગ રહી જાય છે.

ayodhya tourist places
કંપની ગાર્ડન (ફોટો – યુપી ટુરિઝમ)

(19) ગુપ્તાર ઘાટ

સરયુ નદીના કિનારે આવેલું આ તે સ્થાન છે, જ્યાં ભગવાન રામે જળ સમાધિ લીધી હતી. 19 મી સદીના પહેલા તબક્કામાં રાજા દર્શન સિંહે તેનું નિર્માણ કરાવ્યું હતું. અહીં ઘાટ પર રામ જાનકી મંદિર, પુરાણ ચરણ પાદુકા મંદિર, નરસિંહ મંદિર અને હનુમાન મંદિર જોઈ શકાય છે.

ayodhya tourist places
ગુપ્તાર ઘાટ (ફોટો – યુપી ટુરિઝમ)

અયોધ્યા કેવી રીતે પહોંચાય

અયોધ્યા હવાઈ, રેલ અને રોડ માર્ગ સાથે જોડાયેલું ઉત્તર પ્રદેશનું શહેર છે.

હવાઈ માર્ગ

અયોધ્યાનું સૌથી નજીકનું એરપોર્ટ ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ (લખનૌ-134 કિમી) અથવા પ્રયાગરાજ એરપોર્ટ (166 કિમી) છે.

રેલ માર્ગ

અયોધ્યા ઉત્તર રેલવેના મુગલ સરાય થી લખનૌ મુખ્ય રેલ માર્ગ પર આવેલું શહેર છે. અયોધ્યા અનેક ટ્રેનો દ્વારા દેશના વિવિધ ભાગો સાથે જોડાયેલ છે.

સડક માર્ગ

અયોધ્યા ઘણા મોટા શહેરો અને નગરો સાથે રોડ માર્ગ દ્વારા જોડાયેલ છે. મુખ્ય શહેરોથી રોડનું અંતર નીચે મુજબ છે – લખનૌથી (134 કિમી), ગોરખપુરથી (147 કિમી), ઝાંસીથી (441 કિમી), પ્રયાગરાજથી (166 કિમી), શ્રાવસ્તી (119 કિમી), વારાણસી (209 કિમી) અને ગોંડા (51 કિમી).

Web Title: Ayodhya ram mandir darshan know history and tourist places km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×