Gyanvapi Mosque Complex Survey : જ્ઞાનવાપી કેસમાં જિલ્લા ન્યાયાધીશના આદેશ બાદ ASI દ્વારા કરાયેલ સર્વે અંગે આજે જિલ્લા કોર્ટમાં વૈજ્ઞાનિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ASIએ સીલબંધ કવરમાં કોર્ટમાં સીલબંધ અહેવાલ રજૂ કર્યો છે. કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. સર્વેની કોપી અરજદારોને 21 ડિસેમ્બરે આપવામાં આવશે.
અગાઉ સર્વે રિપોર્ટ રજૂ કરવાનો સમય ચાર વખત લંબાવવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી પહેલા મુસ્લિમ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી કે સર્વે રિપોર્ટ સીલબંધ કવરમાં દાખલ કરવામાં આવે. બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટમાં જારી કરાયેલી અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 8 ડિસેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જેમાં 1991માં કોર્ટમાં દાખલ કરાયેલા કેસની જાળવણીને લઈને વારાણસીની કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી છે.
તારીખ 4 વખત લંબાવવામાં આવી છે
તમને જણાવી દઈએ કે ASIએ કોર્ટમાં સર્વે રિપોર્ટ દાખલ કરવા માટે ચાર વખત સમય માંગ્યો હતો. ગત સુનાવણીમાં ASIના વકીલે વધારાનો સમય માંગ્યો હતો. વકીલે જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશને કહ્યું હતું કે ASI સુપરિન્ટેન્ડેન્ટ અવિનાશ મોહંતી કોર્ટમાં હાજર રહીને રિપોર્ટ દાખલ કરવામાં અસમર્થ હતા. આ પછી કોર્ટે 18 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. ASIના સર્વે રિપોર્ટના આધારે શ્રૃંગાર ગૌરીની દૈનિક પૂજા સંબંધિત અરજી પર મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો – મુસ્લિમ પક્ષને ફટકો! સુપ્રીમ કોર્ટે શાહી ઇદગાહના સર્વેના નિર્ણય પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો
કોર્ટના આદેશ પર સર્વે કરવામાં આવ્યો હતો
વારાણસી કોર્ટે 21 જુલાઈએ જ્ઞાનવાપી સંકુલના સર્વેનો આદેશ આપ્યો હતો. આ આદેશમાં ASIને 3 ઓગસ્ટ સુધીમાં તપાસ પૂર્ણ કરીને સર્વે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં જતા સર્વેની કામગીરી અટકાવવી પડી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફરી એકવાર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સીલ કરેલ વજુખાના વિસ્તાર સિવાયની જગ્યાનો સર્વે કરવાનો આદેશ જારી કર્યો હતો. સર્વેની કામગીરીમાં ASI ઉપરાંત પુરાતત્વવિદો, રસાયણશાસ્ત્રીઓ, ભાષા નિષ્ણાંતો, સર્વેયર અને IITની પણ મદદ લેવામાં આવી હતી. સર્વેમાં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.