scorecardresearch
Premium

Adulteration In Food : દિવાળીમાં ખાદ્યચીજોમાં ભેળસેળ વધી; દૂધ-ઘી, માવાની મીઠાઈથી લઈને દાળ-ભાતમાં ભેળસેળ છે કે નહીં જાણવાની સરળ રીત

How to Check Adulteration In Food at Diwlai Festivals : દિવાળીના તહેવારોમાં ખાદ્યચીજ વસ્તુઓમાં ભેળસેળ વધી જાય છે. અહીંયા અમુક સરળ ટીપ્સ અને ટ્રીક્સ જણાવી છે તેની મદદથી તમે ઘર બેઠાં દૂધ-ઘી, માવાની મીઠાઈથી લઈને દાળ-ભાતમાં ભેળસેળ છે કે નહીં તે જાણી શકો છો

adulteration in food | how to check adulteration in food | adulteration in food at diwali | how to check adulteration in milk | how to check adulteration in ghee
આજકાલ દૂધ- ઘી, માવાની મીઠાઈ સહિત ઘણી ખાદ્યચીજોમાં ભેળસેળ વધી ગયુ છે. (Photo – Canva)

How to Check Adulteration In Food at Diwlai Festivals : દિવાળીના તહેવારોમાં ખાદ્યચીજ વસ્તુઓમાં ભેળસેળ વધી જાય છે. મેવા – મિઠાઇ, ઘી, ફરસાણ સહિતની મોટાભાગની ખાદ્યચીજોમાં ભેળસેળ એક મોટી સમસ્યા છે. આવી ભેળસેળ વાળી ખાદ્યચીજો ખાવાથી બીમાર પડવાનું જોખમ રહે છે. લોકોમાં ખાદ્યચીજોમાં ભેળસેળ વિશે જાગૃતિ આવી છે, જો કે મિલાવટને પકડી કે ઓળખી કાઢવી સરળ નથી.

દુકાનદારો ઓછા ખર્ચે વધારે નફો કમાવવા માટે ખાદ્યચીજોમાં ભેળસેળ કરતા હોય છે. તેઓ આ ખાદ્યચીજોમાં એવી વસ્તુઓ ઉમેરે છે, જેને નરી આંખે ઓળખવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી ખાદ્યચીજો પેટમા ગયા પછી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. અમે તમને ખાદ્યચીજોમાં ભેળસેળ છે કે નહી તે ઓળખવાની સરળ રીત જણાવી રહ્યા છીએ

દૂધ (Milk)

તહેવારોના સમયમાં મોટાભાગના લોકો દૂધમાં પાણી ભેળવીને વેચે છે. તમારા દૂધમાં પાણીની ભેળસેળ છે કે નહીં તે જાણવા માટે તમે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAI દ્વારા સૂચવેલી સરળ પદ્ધતિ અપનાવી શકો છો. આ માટે, ચમચીની મદદથી સ્વચ્છ કાચની સ્લાઇડ અથવા પ્લેટ પર દૂધના થોડા ટીપાં નાંખો અને પ્લેટને થોડી નીચેની તરફ નમાવી દો. આટલું કર્યા પછી જો ટીપાં તરત જ નીચેની તરફ વહી જાય તો સમજવું કે તેમાં પાણીની ભેળસેળ થઈ છે. જો દૂધમાં ભેળસેળ ન હોય, તો તે ધીમી ગતિએ નીચે તરફ આવશે.

ઘી (Ghee)

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા અસલી અને નકલી ઘી ઓળખવાની એક સરળ રીત પણ સૂચવવામાં આવી છે. આ માટે, એક ટેસ્ટ ટ્યુબ અથવા ગ્લાસમાં લગભગ બે ચમચી પીગળેલું ઘી લો અને તેમાં 1/2 ચમચી મીઠું અને એક અથવા બે ટીપાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. ત્યારબાદ ગ્લાસ અથવા ટેસ્ટ ટ્યુબને હલાવો. બધું મિક્સ થઈ જાય પછી, તેને 20 મિનિટ માટે આવી રીતે છોડી દો. જો અમુક સમય પછી ઘીનો રંગ બદલાયેલો દેખાય તો સમજવું કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે. આવા ભેળસેળવાળા ઘીનું સેવન કરવાનું ટાળો.

માવાની મીઠાઇ

દિવાળીના તહેવારોમાં લોકો દૂધના માવામાંથી બનેલી મીઠાઇ વધારે ખાતા હોય છે. ઘણી જગ્યાએ માવાને ખોયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તહેવારોના સમયમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવા માટે માવાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં, તમે જે માવો કે માવાની મીઠાળ ખરીદી રહ્યા છો તે શુદ્ધ છે કે નહીં તે ઓળખવા માટે, 2 ગ્રામ માવો લો અને તેને 5 મિલી ગરમ પાણીમાં ભેળવી દો. ત્યારબાદ પાણીને ઠંડુ થવા દો. પાણી ઠંડું થાય એટલે તેમાં આયોડીનનું દ્રાવણ ઉમેરો. આમ કરવાથી જો માવામાં ભેળસેળ થઈ હશે તો તેનો રંગ વાદળી થઈ જશે.

ઉપરાંત તમે અસલી અને નકલી માવાને અન્ય સરળ રીતે ઓળખી શકો છો. આ માટે માવામાં થોડીક ખાંડ ઉમેરો અને તેને કડાઈમાં ગરમ કરવા રાખો. જો થોડી વાર પછી તે પાણી છોડવા લાગે તો સમજવું કે તે માવામાં ભેળસેળ થયેલી છે.

દાળ (Pulses)

કઠોળ-દાળની ચમક વધારવા માટે, દુકાનદારો ઘણીવાર તેને પોલિશ કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, દાળ બનાવતા પહેલા પહેલા થોડીક પ્રમાણમાં દાળ લો અને તેને નવશેકા પાણીથી લગભગ 4 થી 5 વાર ધોઈ લો. આમ કરવાથી નકલી દાળની પોલિશ નીકળી જશે.

ચોખા (Rice)

ઘણી વખત ચોખામાં પ્લાસ્ટિક ભેળવવામાં આવતા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. ઉપરાંત મોટા ભાગના દુકાનદારો ચોખાના લોટમાં ચોક પાવડરની ભેળસેળ કરે છે. આવી સ્થિતિમાં, ભેળસેળવાળા ચોખાને ઓળખવા માટે, એક કાચની પ્લેટમાં થોડાક ચોખા લો, હવે ચોખાના દાણા પર થોડાક પ્રમાણમાં ભીનો ચૂનો છાંટવો. આમ કરવાથી ભેળસેળવાળા ચોખાનો રંગ લાલ થઈ જશે. આ રીતે તમે સાચા અને નકલી ચોખાને સરળતાથી ઓળખી શકો છો.

Web Title: Diwali 2023 how to check adulteration in milk ghee rice and khoya during festivals jsart import

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×