Diet According to age : શરીરને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ડાયટ હોવું જરૂરી છે. હેલ્ધી આહાર એટલે એવો આહાર જેમાં સંપૂર્ણ પોષક તત્વો હોય. ‘મેડિકલ ન્યૂઝ ટુડે’ના એક અહેવાલ મુજબ, આપણા શરીરને 6 આવશ્યક પોષક તત્વો વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, ચરબી, પાણી અને કાર્બોહાઇડ્રેટ્સની જરૂર હોય છે. સ્વસ્થ રહેવા માટે આ બધા પોષક તત્વો દરરોજના આહારમાં હોવા જરૂરી છે. 30-40 વર્ષની વય વચ્ચે શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ ઉંમરે, સ્ત્રીઓ અને પુરુષોની મેટાબોલિઝ્મ ધીમી પડી જાય છે અને તેમની ખાવાની તૃષ્ણા વધવા લાગે છે.
જો આ ઉંમરે ડાયટનું ખાસ ધ્યાન રાખવામાં ન આવે તો શરીરમાં ચરબી વધવા લાગે છે, જે અનેક હઠીલા રોગોનું કારણ બને છે. જો ઉંમરના દરેક તબક્કે હેલ્ધી ડાયટનું સેવન કરવામાં આવે તો મેદસ્વિતાને નિયંત્રણમાં રાખી શકાય છે અને શરીરને સ્વસ્થ રાખી શકાય છે. તો ચાલો જાણીએ કે, ઉંમર પ્રમાણે ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ.
5 થી 10 વર્ષના બાળક માટે ડાયટ ચાર્ટ
પાંચથી દસ વર્ષના બાળકના શરીરને વધુ કેલ્શિયમની જરૂર હોય છે. બાળકોના શરીરના વિકાસ માટે દરરોજ લગભગ 500-650 મિલિગ્રામ કેલ્શિયમ જરૂરી છે. બાળકોમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરવા માટે ખોરાકમાં દૂધ, દહીં, ચીઝ, બદામ, ટોફુ, સોયા, બ્રોકલી, ચિયા સીડ્સ લો. આ તમામ ખોરાક કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરે છે.
10-12 વર્ષના બાળકો માટે ડાયટ ચાર્ટ
10 વર્ષના બાળક માટે પોષણયુક્ત આહાર હોવો જરૂરી છે. 10-12 વર્ષના બાળકને દિવસમાં ચાર વખત ખવડાવો. બાળકના આહારમાં તાજા ફળોનો રસ, પ્રોબાયોટિક દહીં, શાકભાજીના જ્યૂસ અને પ્યુરીજને સામેલ કરો.
13-15 વર્ષના બાળક માટે ડાયટ ચાર્ટ
આ બાળકનો ઝડપી વિકાસનો તબક્કો છે. આ ઉંમરે બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે બાળકને આહારમાં કેલ્શિયમયુક્ત ખોરાક, દૂધ, ચીઝ, દહીં, સોયાબીન, ટોફુ અને બદામ ખવડાવો. વિટામિન ડીથી ભરપૂર ખોરાક જેમ કે અનાજ, ઓઈલી ફીશ, કુદરતી પ્રોટીન ખોરાક – લાલ માંસ, માછલી, દાળ અને લીલા શાકભાજીનો સમાવેશ કરો.
20-30 વર્ષની ઉંમરે ખોરાકમાં આયર્ન અને પ્રોટીનનો સમાવેશ કરો
ઘણીવાર એવું જોવા મળે છે કે, 20-30 વર્ષની ઉંમરમાં લોકો જંક ફૂડ વધુ લે છે, જેનાથી તેમનું પેટ તો ભરાય છે પરંતુ શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો નથી મળતા. આ ઉંમરે શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને આયર્નની જરૂર હોય છે. આ ઉંમરના લોકોએ તેમના આહારમાં કેલ્શિયમ, આયર્ન અને ફોલેટનો સમાવેશ કરવો જોઈએ. કેલ્શિયમનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે અને મગજ ઝડપથી ચાલે છે. આયર્ન શરીરમાં મેટાબોલિઝમને ટેકો આપે છે. 20-30 વર્ષની ઉંમરે, લોકોએ તેમના આહારમાં દહીં, દૂધ, કઠોળ, મગફળી અને પાલકનું સેવન કરવું જોઈએ.
30-40 વર્ષની ઉંમરે કેવો ખોરાક હોવો જોઈએ
30 થી 40 વર્ષની ઉંમરે, કેલરી અને મેગ્નેશિયમના ઉપયોગ પર વધુ ભાર આપવો જોઈએ. આ ઉંમરે, સ્નાયુઓ, મસલ્સ ઘટવા લાગે છે અને પાચન ક્રિયા ધીમી થવા લાગે છે. આહારમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારવાથી શરીરને ઉર્જા મળશે. આ ઉંમરે લોકોએ આહારમાં બદામ, કાજુ, દૂધ, દહીં અને પાલકનું સેવન કરવું જોઈએ.
40-50 વર્ષની ઉંમરે ખોરાકમાં કેલ્શિયમનો સમાવેશ કરો
40-50 વર્ષની ઉંમરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે અને શરીર પણ ઝડપથી બીમાર થવા લાગે છે. આ ઉંમરે શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહાર લેવો જરૂરી છે. કેલ્શિયમ અને વિટામીન ધરાવતી વસ્તુઓનું આહારમાં પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. કેલ્શિયમનું સેવન કરવાથી હાડકાં મજબૂત થશે અને શરીર સ્વસ્થ રહેશે. આ ઉંમરે લોકોએ પોતાના આહારમાં પાંદડાવાળા શાકભાજી, માછલી જેવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
આ પણ વાંચો – એક મુઠ્ઠી મખાના 32ની કમરને એક મહિનામાં 28ની બનાવી શકે છે, બસ જાણી લો ખાવાની રીત
50 થી વધુ ઉંમરના લોકો માટે ડાયટ
50 વર્ષથી વધુ ઉંમરના લોકોના શરીરમાં નબળાઈ વધુ વધે છે અને તેમની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડવા લાગે છે. આ ઉંમરે શરીરને સ્વસ્થ રાખવા માટે આહારમાં ફળો, શાકભાજી, આખા અનાજ, લીન પ્રોટીન અને ઓછી ચરબીવાળી ડેરી પ્રોડક્ટ સમાવેશ કરવો જોઈએ. આવો આહાર શરીરની પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.