ગોપાલ કટેશીયા | Gujarat Jamnagar Flood : જામનગરમાં તાજેતરના ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં બે બાળકો સહિત સાત લોકો અને 514 પશુઓના મોત થયા હતા. જો કે, પૂરની સ્થિતિમાં સુધારો થયો હોવા છતાં, શનિવારે બપોર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના ત્રણ જિલ્લાના 302 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
જામનગરમાં ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અચાનક પૂર દરમિયાન જામનગર શહેરમાં ચાર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ લોકોના મોત થયા હતા. જામનગર તાલુકાના થવરિયા ગામના રહેવાસી સંદીપસિંહ કેરનો મૃતદેહ પૂરના પાણીમાં તણાઈ ગયેલો મળી આવ્યા બાદ તાજેતરના મૃત્યુની જાણ થઈ હતી. જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ શાખાના ઈન્ચાર્જ મહેન્દ્ર ચાવડાએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “શનિવારે બપોરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનાથી જિલ્લામાં આવેલા પૂરમાં મૃત્યુઆંક સાત થઈ ગયો હતો.”
અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુર ગામના રહેવાસી 45 વર્ષીય રાજેશ પેઢાડિયા, જામજોધપુર તાલુકાના જીણાવરી ગામના ખેડૂત 55 વર્ષીય પરબત પાથરનો સમાવેશ થાય છે, જેઓ પૂરના પાણીથી ભરાયેલા પુલને પાર કરતા સમયે પાણીના વ્હેણમાં તણાઈ ગયા હતા. અને જામનગર શહેરના રહેવાસી 46 વર્ષીય કનકસિંહ જાડેજા પણ પૂરના પાણીમાં વહી ગયા. જામનગર શહેરમાં ગુરુવારે વધુ ત્રણ મૃત્યુ નોંધાયા હતા, જ્યારે રાજ મારુ, 14, પ્રદિપરી ગોસ્વામી, 46, અને તેમનો પુત્ર શુભમપરી ગોસ્વામી, 11, પૂરના પાણીમાં ફસાઈ જતાં ડૂબી ગયા હતા.
મહેન્દ્ર ચાવડાએ કહ્યું કે, “સત્તાવાર રીતે, હવે જિલ્લામાં કોઈ ગુમ થયાની જાણ નથી.” આ દરમિયાન, રાજ્ય સરકારે શુક્રવારે વન વિભાગને પૂર પ્રભાવિત જિલ્લાઓમાં મફત ઘાસનું વિતરણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એક દરખાસ્ત દ્વારા, મહેસૂલ વિભાગે ડેરી ખેડૂતો, ખેડૂતો અને પશુપાલકોને પશુ દીઠ દરરોજ ચાર કિલો ઘાસ આપવાનું નક્કી કર્યું, જેમાં કુટુંબ દીઠ મહત્તમ પાંચ પશુઓની મર્યાદા હતી.
સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓના મામલતદારોને ખેડૂતો અને પશુપાલકોને ઘાસ કાર્ડ જાહેર કરવા અને વન વિભાગને આવા ખેડૂતો અને પશુપાલકોને આ જિલ્લાઓમાં તેમના સંબંધિત ઘાસના ગોદામોમાંથી મફતમાં ઘાસ આપવાનો નિર્દેશ આપ્યો છે. સરકારે એવો પણ નિર્દેશ આપ્યો છે કે, ખેડૂતો અને પશુપાલકોને સાત દિવસના ક્વોટા માટે અથવા એક સમયે પશુ દીઠ 28 કિલો ઘાસ આપવામાં આવે. આ દરમિયાન, પૂરનું પાણી ઓછું થતાં, સ્થાનિક સત્તાવાળાઓએ જામનગર, દ્વારકા, રાવળ વગેરેમાં કાટમાળ અને કાદવ દૂર કરવા માટે સફાઈ કરવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો : Gujarat Asna Cyclone: ગુજરાત પરથી ખતરો ટળ્યો, ભારે તબાહીથી બચ્યું, અસના ચક્રવાત ફંટાઈને પાકિસ્તાન તરફ આગળ વધ્યું
જો કે, રાજ્યની માલિકીની વીજ વિતરણ કંપની પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL)ના જામનગર વર્તુળના આઠ ગામો શનિવાર બપોર સુધી વીજળી વિનાના હતા. જામનગર વર્તુળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજળીનું વિતરણ કરે છે. તેવી જ રીતે પીજીવીસીએલના ભુજ સર્કલના 294 ગામો વિજળી વિહોણા હતા. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પૂરની સ્થિતિમાં સુધારો થયા બાદ લોકોએ આશ્રય ગૃહોમાંથી તેમના ઘરે પાછા ફરવાનું શરૂ કર્યું છે અને સરકાર દ્વારા 411 પૂર પ્રભાવિત લોકોને કુલ 2.94 લાખ રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી છે.