ગુજરાતના મહત્ત્વના કેટલાક સમાચાર પર વાત કરીએ તો, રાજ્યમાં ભારે વરસાદ બાદ પુરવઠો ખોરવાતા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો બાવળા બગોદરા હાઈવે પર અકસ્માતમાં બેના મોત થયા છે. તો આ બાજુ વરસાદની શરૂઆત સારી રહેતા જળાશયોની સ્થિતિ ગત વર્ષ કરતા શાનદાર રહી છે. તો ગુજરાત હાઈકોર્ટે સગીરને કસ્ટડીમાં માર મારવાને મામલે જામનગર પોલીસનો ઉધડો લીધો છે.
ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને
ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે, જેમાં આદુ, મરચા, ટામેટા તથા કોથમીમાં સોથી વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં સતત વરસાદને પગલે શાકભાજીની આવકમાં ઘટાડો થયો હતો, જેને પગલે માર્કેટમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો છૂટક માર્કેટની વાત કરીએ તો, ટામેટાના ભાવ કિલોના 120થી 150એ પહોંચ્યા છે, તો મરચાના ભાવ 110 થી 120 રૂપિયા પહોંચ્યા છે. આદુ તો રૂપિયા 250થી 300 રૂપિયાએ પહોંચી ગયું છે. આ સિવાય કોથમી 220 રૂપિયા, ફણસી 160થી 180 રૂપિયા અને રિંગણ પણ કિલો દીથ 60થી 80 રૂપિયે વેચાઈ રહ્યા છે. શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે.
પાકિસ્તાનના હિન્દુ ડોક્ટરો ગુજરાતમાં કરશે પ્રેક્ટિસ
પાકિસ્તાનના 132 જેટલા હિન્દુ ડોક્ટરોએ હવે ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરી લીધુ છે. પાકિસ્તાનમાં એમબીબીએસ કરી ભારતના નાગરિકત્વ માટે અરજી કરનાર 132 ડોક્ટરોને નાગરિક્ત્વ આપવામાં આવ્યું છે. આ તમા લોકોએ નેશનલ મેડિકલ કાઉન્સિલની પરીક્ષા પાસ કરી છે. આમાંથી 52 ડોક્ટરોનું ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જેથી 52 ડોક્ટરો હવે ગુજરાતમાં પ્રેક્ટિસ કરશે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના 10 હજારથી વધુ હિન્દુઓ હાલ ગુજરાતમાં વસી રહ્યા છે.
ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત શાનદાર થતા રાજ્યના કેટલાક જળાશયોતો 100 ટકા ભરાઈ ગયા છે, તો કેટલાક જળાશયો 70 ટકા તો કેટલાક 50 ટકા ભરાઈ ગયા છે. જો 100 ટકા ભરાઈ ગયા હોય તેવા જળાશયોની વાત કરીએ તો, અમરેલી જિલ્લાના 5, ગીર સોમનાથ જિલ્લામાં 1, જુનાગઢ જિલ્લામાં 3, રાજકોટ જિલ્લામાં 2, કચ્છ જિલ્લામાં 4, જામનગર જિલ્લામાં 3 અને તાપી જિલ્લામાં 1 જળાશય 100 ટકા ભરાઈ ગયા છે. આ સિવાય, રાજ્યના અન્ય 29 જળાશયો 70 ટકાથી 100 ટકા ભરાઈ ગયા છે. તો 25 જળાશયો 50 ટકાથી વધારે ભરાઈ ગયા છે.
સગીરને કસ્ટડીમાં માર મારવાનો મામલો
જામનગર પોલીસ દ્વારા સગીરને કસ્ટડીમાં ઢોર માર મારવાને મામલે ગુજરાત હાઈકોર્ટે પોલીસનો ઉધડો લઈ લીધો હતો અને ડીએસપીને આ મામલે તાત્કાલીન કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ મામલો જામનગરના કાલવડના ભાયુભાખરીયા ગામનો છે, જ્યાં ખેડૂતની જમીનમાં જેટકો દ્વારા કોઈ પણ મંજૂરી વગર વીજ પોલ લગાવવાના બબાલ મામલે પોલીસે સગીરને ઉઠાવી જઈ કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો.
પાકિસ્તાનમાંથી ભારતમાં 500 કિલો હેરોઈન દાણચોરી મામલે વધુ ચાર સામે ચાર્જશિટ દાખલ થઈ
પાકિસ્તાનથી ભારતમાં 500 કિલો ડ્રગ્સની દાણચોરીના મામલામાં એનઆઈએ કોર્ટમાં વધુ ચાર લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં હરમિન્દર સિંહ ઉર્ફે રોમી રંધાવા, મનજીત સિંહ ઉર્ફે મન્ના, કુલદિપ સિંહ અને મલકિત સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તમને જમાવી દઈએ કે, આ પહેલા આ કેસમાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નવ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
બાવળા બગોદરા હાઈવે પર અકસ્માતમાં બેના મોત
બાવળા બગોદરા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરથી બે યુવાનોના મોત થયા છે. પોલીસ ફરિયાદ અનુસાર, અમવાદાવદના વેજલપુર વિસ્તારમાં રહેતા ચેતનભાઈ ચાવડા અને તેમના પિતરાઈ ભાઈનું મોત નિપજ્યું છે. બંને લોકો વઢવાણથી મેલડી માતાના દર્શને કરી અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે બગોદરા બાવળા હાઈવે પર ભાયલા બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક પરથી રોડ પર પટકાયા હતા અને તેમનું મોત નિપજ્યું હતું.