Gujarat Government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના સુપ્રિસદ્ધ શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી વિસ્તારની ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસની પ્રબળ સંભાવનાને વાસ્તવિક રૂપ આપવા બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. બહુચર માતાના પ્રાચીન-પવિત્ર યાત્રાધામ સાથે શંખલપુર તીર્થ, વલ્લભ ભટ્ટની વાવ ઉપરાંત બેચરાજી નજીક આવેલા માંડલ-બેચરાજી એસ.આઈ.આર.માં મારૂતી સુઝુકીના પ્લાન્ટ અને 30 જેટલા નાના-મોટા ઉત્પાદન એકમો ધરાવતા આ સમગ્ર વિસ્તારનો રાજ્યના અન્ય શહેરોની જેમ વિકાસ થઈ શકે તેવી શક્યતાઓ ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાથી અંદાજે 45 કિલોમીટરના અંતરે રોડ-કનેક્ટિવિટીથી જોડાયેલા બેચરાજીને તેમજ બેચર-બેચરાજી ગ્રામ પંચાયત અને તેની આજુબાજુમાં થઈ રહેલા વિકાસને ભવિષ્યમાં સુઆયોજિત અને સુવ્યવસ્થિત કરવા તેમજ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા આ બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરી છે.
બેચરાજી તેમજ તેની આજુબાજુના શંખલપુર, કાલરી, ગણેશપૂરા, પ્રતાપગઢ, ફિંચડી, ડેડાણા, એદલા, ગામોના સહિત અંદાજે 825 હેક્ટર વિસ્તારને આ બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. નવી રચાયેલી આ બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ વિસ્તારમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 અન્વયે વિકાસ યોજના-ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવશે તેમજ નગરરચના યોજનાઓનું પણ આયોજન કરી શકાશે. નગરરચના યોજનાઓના પરિણામે રોડ, સ્ટ્રીટ લાઈટ્સ, બાગ-બગીચા, ડ્રેનેજ જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટિઝ પૂરી પાડી શકાશે.
આ પણ વાંચો – કચ્છનું ધોરડો સમગ્ર વિશ્વમાં છવાઇ ગયું, બેસ્ટ ટૂરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો
આ ઉપરાંત બેચરાજી અને આસપાસના ઔદ્યોગિક-વાણિજ્યિક એકમોને પ્રોત્સાહન મળશે, નવા મૂડી રોકાણોની સંભાવનાઓ ઉજ્જવળ બનશે અને રોજગારીની નવી તકો પણ ખુલવાથી આર્થિક વિકાસના નવા માપદંડ નક્કી થઈ શકશે. આના પરિણામે ધાર્મિકતા સાથે આધુનિક ઔદ્યોગિક ક્રાંતિના સમન્વયથી બેચરાજી વિસ્તાર દેશ અને રાજ્યના વિકાસમાં આગવું યોગદાન આપવા સજ્જ બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવરચિત બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળના અધ્યક્ષ તરીકે મહેસાણા જિલ્લા કલેક્ટરની નિયુક્તિ કરી છે. આ સત્તામંડળના અન્ય સભ્યો તરીકે ચીફ ટાઉન પ્લાનર, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર અને સભ્ય સચિવ તરીકે મહેસાણા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિસ્તારના વિકાસને લગતી બાબતોને યોગ્ય વાચા આપવા સ્થાનિક સ્તરે ચૂંટાયેલા ચાર સભ્યોને પણ આ સત્તામંડળમાં સભ્ય તરીકે સ્થાન આપવાની જોગવાઇ કરવામાં આવેલી છે.