Ahmedabad Rahyatra 2024 | અમદાવાદ રથયાત્રા 2024 : અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથ ની 147 મી રથયાત્રા નીકળી ગઈ છે. આજે અષાઢી બીજે વહેલી સવારે 3.45 કલાકે ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ગયા હતા અને પરિવાર સાથે મહામંગળા આરતી કરી. આ સાથે પહિંદવિધી સહિતનો કાર્યક્રમ બાદ ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા માટે રવાના થયા હતા. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથ સરસપુર, કાલુપુર, શાહપુર સહિત નગરના વિસ્તારમાં ફરી સાંજે નીજ મંદિરે પરત ફરશે. હાથી, ટેબ્લો, અખાડા અને ભજન મંડળીઓ રથયાત્રામાં ખાસ આકર્ષણ જમાવે છે.
જમાલપુર જગન્નાથ મંદિરે ધીમે ધીમે મોટી સંખ્યામાં ભક્તો, સેવકો ઉમટી રહ્યા છે અને જય..જય..જય..જય.. જગન્નાથ, તથા જય રણછોડ માખણ ચોર નો નાદ લગાવી ભાવ વિભોર થઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના લાઈવ દર્શન તમે https://www.jagannathjiahd.org/ પર જોઈ શકો છો.
ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનો રથ તૈયાર છે, ભજન મંડળીઓ, વેશભૂષા, અખાડાના કરતબકારો સહિત રથયાત્રામાં જોડાનાર અસંખ્ય વાહનો સજ્જ થઈ રહ્યા છે. આ બાજુ તંત્ર પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની તાડામાર તૈયારીમાં વ્યસ્ત છે. પોલીસ વિભાગે શહેરના કોટ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો છે. ભગવાનની રથયાત્રા કોઈ પણ વિઘ્ન વગર રંગેચંગે પૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર રથયાત્રા પર ડ્રોન કેમેરાથી નજર રાખશે.
તમને જણાવી દઈએ કે, દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સાંજની મહાઆરતી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા, તેમની સાથે કોંગ્રેસના નેતાઓ પણ મહાઆરતી સમયે પોંચ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે આરતી કરી ભગવાન જગન્નાથના આશિર્વાદ લીધા હતા અને રાજ્ય જન જ પર તેમના આશિર્વાદ હંમેશા રહે તે માટે પ્રાર્થના કરી હતી. અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી મહારાજી મુલાકાત કરી હતી.
અમદાવાદમાં 147મી રથયાત્રા ભક્તિ અને આનંદ ઉલ્લા સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ નિજ મંદિર પહોંચી ગયા છે. હવે ત્રણેય ભગવાન આખી રાત રથમાં બિરાજમાન રહેશે. ભગવાનની નજર ઉતારવામાં આવશે. ત્યારબાદ સવારમાં ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.
અમદાવાદમાં 147મી રથયાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ નિજ મંદિર પહોંચી ગયા છે. ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. રથ જમાલપુર પહોંચતા જ અમી છાંટણા થયા હતા.
રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા હતા. રથયાત્રા દરમિયાન મેડિકલ ઈમરજન્સી માટે સુવિધા કરવામાં આવી હતી. રથયાત્રામાં 43 લોકોએ 108 ઇમરજન્સી સેવાની મદદ મેળવી હતી. રથયાત્રામાં મેડિકલ સર્વિસના 5 કેસ નોંધાયા હતા. રથયાત્રા દરમિયાન 27 વ્યક્તિ બેભાન થયા હતા, 1 વ્યક્તિને આંચકી આવી હતી, પેટમાં દુખાવાના 2 કેસ, ઝાડા ઉલટીના 4 કેસ અને સ્ટ્રોકનો 1 કેસ નોંધાયો છે.
અમદાવાદમાં રથયાત્રા હવે નીજ મંદિર તરફ આગળ વધી રહી છે. ત્રણેય રથ પાનકોરનાકા પહોંચી ગયા છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મંદિર પરત પહોંચી ગયા છે. કોમી એખલાસના પ્રતિક સમા સફેદ કબૂતર પણ ઉડાવવામાં આવ્યા છે.
દિલ્હી ચકલા બાદ શાહપુરથી રથ ઘી કાંટા તરફ જવા આગળ વધ્યા, ભક્તોની ભારે ભીડથી રથ ધીમે ચાલી રહ્યા. રથયાત્રામાં જોડાયેલા કેટલાક ટ્રક દિલ્હી દરવાથાથી રથયાત્રાથી અલગ થયા.
ભગવાનના રથ કાલુપુર પહોંચ્યા, શાહપુરમાં ભક્તો રથયાત્રા જોવા ધાબે ચઢ્યા, દિલ્હી ચકલા માં રથની આરતી ઉતારવામાં આવી. દર વર્ષ કરતા રથ દોઢ બે કલાક મોડા ચાલી રહ્યા, મંદિરમાં ભક્તો ભગવાનની જોઈ રહ્યા રાહ
અમદાવાદ રથયાત્રા ધીમે ધીમે નીજ મંદિર તરફ આગળ વધી રહી. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રાજીના રથ પ્રેમ દરવાજાથી આગળ વધ્યા.
અમદાવાદ રથયાત્રા દિલ્હી ચકલાથી આગળ વધી ગઈ છે. ત્યારે દરિયાપુર તંબુ ચોકી પાસેથી ગૃહમંત્રી હર્ષ સંઘવી રથયાત્રામાં પગપાળા જોડાયેલા જોવા મળ્યા આ સિવાય 108 ને રથયાત્રામાં અત્યાર સુધી 13 જેટલા કેસ મળ્યા, જેમાં 4 પડી જવાના, 3 આંચકીના, તો બે સ્ટ્રોકનો તો અન્ય ઝાડા-ઉલટી, બેભાન થઈ જવાના સહિતના કેસ મળતા સારવાર માટે ખસેડવામાં આવ્યા
રથ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચતા મેયર સહિત અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહંત દિલીપદાસજીને ફોટો આપી તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભગવાન જગન્નાથ મોસાળ સરસપુર પહોંચ્યા બાદ ત્યાંથી વિદાય લીધી અને નીજ મંદિર તરફ રથયાત્રા રવાના થઈ. રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી
અમદાવાદમાં રથયાત્રાની સાથે અષાઢી બીજના પર્વને અનેક મંદિરોમાં પણ ઉજવવામાં આવી રહી છે. સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે હનુમાનજીને રથયાત્રાનો શણગાર કરવામાં આવ્યો છે. આ સિવાય દાદાને 500 કિલો જાંબુનો અન્નકુટ ધરાવાયો છે
ગુજરાતમાં અનેક શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગરના માણસા માં પણ રથયાત્રા ભવ્ય રીતે કાઢવામાં આવે છે. આ સિવાય, રાજકોટ, વડોદરા, ભાવનગર, કલોલ, શામળાજી, બોડેલી, છોટા ઉદેપુર સહિતના શહેરમાં પણ રંગેચંગે યોજાઈ રહી રથયાત્રા
અમદાવાદ રથયાત્રા ચાલી રહી છે, ભગવાન જગન્નાથ સહિતના રથ સરસપુર પહોંચી ગયા છે. ભાણાનું સરસપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સરસપુરની ગલીએ ગલીઓ જયઘોષથી ગુંજી ઉઠી.
અમદાવાદ રથયાત્રાની સુરક્ષા માટે હજારો પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જ્યારે આખી રથયાત્રા પર ચાંપતી નજર રાખવા માટે અલગ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો હતો. અહીંથી ઉચ્ચ પોલીસ અધિકારીની દેખરેખ હેઠળ આખી રથયાત્રા પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
ભગવાન જગન્નાથનો રથ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચ્યો છે. ત્યારે રથયાત્રા અત્યારે એક કલાક મોડી ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અષાઢી બીજની શુભેચ્છાઓ પાઠવી.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે ત્યારે રથયાત્રામાં જોડાયેલા અખાડા તેમજ વિવિધ કરતબ બાજોએ આકર્ષણ જમાવ્યું છે. જેમાં ખાસ કરીને ચિત્ર ગુપ્ત અને યમરાજે આકર્ષણ જમાવ્યું છે. છોકરીઓના કરતબોથી લોકો મંત્ર મુગ્ઘ થયા.
અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રા આગળ વધી રહી છે. ટ્રકો ખાડિયા પહોંચી ગયા છે. જ્યારે ગજરાજો રાયપુર દરવાજાથી આગળ વધી રહ્યા છે.
અમદાવાદમાં શહેરીજનોને દર્શન આપવા માટે ભગવાન જગન્નાથ નીકળી પડ્યા છે ત્યારે તેમના કાફલામાં અનેક ટેબ્લા, ભજન મંડળીઓ, અખાડાઓ, ગજરાજો જોડાયા છે. ત્યારે રથયાત્રામાં ટી20 વર્લ્ડકપથી લઈને નરેન્દ્ર મોદી યુગપુરુષના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભગવાનની રથયાત્રા નીકળી ગઈ છે. ત્યારે ભગવાનના રથો પાછળ ગજરાજો, ટ્રકોના ટેબ્લા સહિતનો કાફલો જોડાઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહીંદ વિધિ કર્યા બાદ રથને ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. હવે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈન બલરામ સાથે નગરચર્યાએ નીકળી પડ્યા છે. ત્રણેય રથો મંદિરની બહાર નીકળી ગયા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા બાદ તેમણે ભગવાનની પૂજા અર્ચના કરી હતી અને પહિંદ વિધિ હતી.
#WATCH | Ahmedabad: Gujarat CM Bhupendra Patel performs the 'PahindVidhi' or the symbolic cleaning of the path for chariot of Jagannath for Rath Yatra. pic.twitter.com/GfGYE1ErWa
— ANI (@ANI) July 7, 2024
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા બાદ તેમણે ભગવાનની પૂજા અર્ચના કરી હતી અને પહિંદ વિધિ બાદ ત્રણેય રથોને વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો. ત્રણ રથોનું મંદિરથી પ્રસ્થાન થયું છે આમ રથયાત્રા પ્રારંભ થઈ.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા છે. તેમણે ભગવાનના દર્શન કર્યા. સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને રથને પ્રસ્થાન કરાવશે.
ભગવાન રથ પર બિરાજમાન થઈ ગયા છે ત્યારે જેમ જેમ દિવસ ચડતો જાય છે તેમ તેમ ભક્તોનું મહેરામણ દર્શન કરવા માટે મંદિર પહોંચી રહ્યું છે. સાથે મોટા નેતાઓ, અધિકારીઓ સહિત ઉચ્ચ પદાધિકારીઓ મંદિર પહોંચીને ભગવાનના દર્શન કરી રહ્યા છે.
ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થયા છે ત્યારે ભગવાન રથ લઈને નગરચર્ચાએ નીકળે એ પહેલા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે રથનું નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડીવારમાં મંદર પહોંચશે. જ્યાં સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને રથને પ્રસ્થાન કરાવશે.
દેશ અને વિશ્વમાં પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રા આજે નીકળવાની છે. સવારે 7 વાગ્યાથી વિધિવત રીતે ભગવાન જગન્નાથ, સુભદ્રા બહેન અને બલરામ ભાઈ સાથે અમદાવાદની મુલાકાતે નીકળશે. બીજી તરફ ભગવાનના દર્શન કરવા માટે પણ ભક્તો આતુર છે. ભગવાનની નગર ચર્ચાએ નીકળવાની ભક્તો રાહ જોઈ રહ્યા છે.
નગરચર્યા માટે બનાવાયેલા રથમાં ભગવાન જગન્નાથજી અને બહેન સુભદ્રા અને ભાઈ બલરામ બિરાજ્યા છે. હવે આગળની વિધિ શરુ થશે.
અમદાવાદની 147મી રથયાત્રાના રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર ખાનગી વાહન અવરજવર બંધ રહેશે અને ઘણા સ્થળોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 જોગવાઇ હેઠળ 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યા થી 7 જુલાઇ 2024ના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી નો પાર્કિંગ ઝોન રહેશે.
ભગવાન જગન્નાથજી આજે સવારે સાત વાગ્યે નગરચર્ચાએ નીકળશે જોકે, આ પહેલાની વિધિ શરૂ થઈ ગઈ છે. મંદિર પરિસરમાં આદિવાસી લોકો દ્વારા પરંપરાગત રીતે આદિવાસી નૃત્ય કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી હતી ત્યારબાદ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને ખીચડી અતિ પ્રિય છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મગ, જાંબુ, ચોકલેટ અને ડ્રાઈફ્રૂટનો પ્રસાદ મોકલ્યો. આ પ્રસાદ ભગવાનને અર્પણ કરાયા બાદ ભક્તોમાં તેની વહેંચણી થશે.
અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળશે, નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે.
આ રથયાત્રાની તમામ સુરક્ષા માટે DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે.
જગન્નાથ મંદિર પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર છે.
અમદાવાદના જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં મોડી રાતથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે. મંદિર જય રણ છોડ માખણ ચોરના નાદથી ગુંજી રહ્યું છે.
અમદાવાદમાં આજે ભગવાન શ્રી જગન્નાથ ની 147 મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. આજે અષાઢી બીજે વહેલી સવારે 3.45 કલાકે ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ગયા છે અને પરિવાર સાથે મહામંગળા આરતી કરી.