Tanushree Dutta viral video: તનુશ્રી દત્તા ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણી ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે. રડતાં રડતાં તેણી કહી રહી છે કે, તેને તેના પોતાના ઘરમાં જ હેરાન કરવામાં આવી રહી છે. તેણી મદદ કરવા કહી રહી છે. અહીં નોંધનિય છે કે, આશિક બનાયા આપને ફિલ્મથી લાઇમ લાઇટમાં આવેલી અભિનેત્રી તનુશ્રી દત્તાએ 2018 માં ભારતમાં MeToo ચળવળ શરૂ કરીને અભિનેતા નાના પાટેકર પર જાતીય શોષણનો આરોપ લગાવતાં સનસની મચી હતી.
એક નવા વીડિયોમાં, તનુશ્રી રડતાં રડતાં કહી રહી છે કે, “મારા પોતાના ઘરમાં જ મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મેં હમણાં જ પોલીસને ફોન કર્યો છે અને તેમણે મને યોગ્ય ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન આવવા કહ્યું છે. હું કદાચ કાલે કે પરમ દિવસે જઈશ. મારી તબિયત સારી નથી. છેલ્લા પાંચ વર્ષમાં મને એટલી હેરાન કરવામાં આવી છે કે હું બીમાર પડી ગઈ છું.
રડતાં રડતાં તેણી કહે છે કે, આ ઘટનાઓએ મારા પર ખૂબ જ ખરાબ અસર કરી છે. હું કંઇ કામ પણ કરી શકતી નથી. મારું આખું ઘર અવ્યવસ્થિત છે. હું નોકરાણીઓને રાખી શકતી નથી કારણ કે તેઓ મારા ઘરમાં ઉત્પાત મચાવે છે. મને નોકરાણીઓ સાથે ખરાબ અનુભવ થયો છે જે અંદર આવીને ચોરી કરે છે અને અન્ય હેરાનગતિ કરે છે. લોકો મારા ઘરનો દરવાજો ખખડાવે છે. મને પરેશાન કરવામાં આવી રહી છે, કૃપા કરીને મને મદદ કરો.
બીજો એક વિડીયો શેર કરતા, જેમાં ઘોંઘાટીયા પૃષ્ઠભૂમિ હતી, અભિનેત્રીએ લખ્યું, “મેં 2020 થી લગભગ દરરોજ મારા છત ઉપર અને મારા દરવાજાની બહાર આવા મોટા અવાજો અને ખૂબ જ જોરથી ધડાકાના અવાજોનો સામનો કર્યો છે! હું બિલ્ડિંગ મેનેજમેન્ટને ફરિયાદ કરીને કંટાળી ગઈ અને થોડા વર્ષો પહેલા હાર માની લીધી હતી. હું પરેશાન થઇ ગઇ છું. મારા મનને સ્થિર કરવા અને મારી માનસિકતા જાળવવા માટે મંત્રો સાથે હેડફોન લગાવું છું.
તેણીએ ઉમેર્યું, “આજે હું ખૂબ જ બીમાર હતી, કારણ કે તમે જાણો છો કે છેલ્લા 5 વર્ષથી સતત તણાવ અને ચિંતાનો સામનો કરવાને કારણે મને ક્રોનિક થાક સિન્ડ્રોમ થયો છે અને આ આખો દિવસ અને સાંજ સ્વીકાર્ય અને માન્ય કલાકો કરતાં વધુ ચાલતું હતું! કલ્પના કરો.. ગઈકાલે મેં પોસ્ટ કરી હતી અને આજે આ! અબ સમજ જાઓ સબ લોગ કી હું જેની સાથે વ્યવહાર કરી રહી છું. ઔર ભી બહૂત કુછ હૈ જો એફઆઈઆર મેં ઉલ્લેખ કરોંગી. (ઘણી બધી બાબતો છે જેનો હું એફઆઈઆરમાં ઉલ્લેખ કરીશ)
અગાઉ, સ્ક્રીન સાથે વાત કરતા, તનુશ્રીએ દાવો કર્યો હતો કે તેણીએ રાખેલી નોકરાણીઓ તેને હેરાન કરવા માટે ચાલાકીથી કામ લેતી હતી. “મેં નોકરાણી રાખ્યા પછી, હું વારંવાર બીમાર રહેવા લાગી. હું સામાન્ય રીતે સવારે ઉઠું છું, પરંતુ પછી મને મારા પથારીમાંથી ઉઠવામાં આળસ થવા લાગી. મને શંકા ગઈ કે કંઈક ગંદુ તો નથી ને. મેં ઘરે પાણી પીવાનું ટાળ્યું, અને મને સારું લાગવા લાગ્યું. નોકરાણી મારા પાણીમાં કંઈક ભેળવી રહી હતી. મેં તેમને મારા ઘરમાં પ્રવેશતા પહેલા અને પછી કોઈને ફોન કરતા રંગે હાથે પકડ્યા છે.”
વર્ષોથી, તનુશ્રીએ મંદિરની મુલાકાત દરમિયાન અજાણ્યા લોકો દ્વારા અનુસરવામાં આવતી અથવા હોટલમાં રોકાયેલી હેરાનગતિના અનેક બનાવો વિશે વાત કરી છે, અને દાવો કર્યો છે કે તે નાના પાટેકર સામેના તેમના આરોપો સાથે જોડાયેલા છે .
2018માં ઝૂમ ટીવી સાથેના એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર 2009માં આવેલી ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આનાથી ભારતમાં ‘મીટૂ’ ચળવળ શરૂ થઈ હતી. તેણીએ સિને અને ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશનમાં ફરિયાદ નોંધાવીને અભિનેતા સામે સૌપ્રથમ આરોપ લગાવ્યા હતા, પરંતુ આ કેસને ફોજદારી કેસ માનવામાં આવતો હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ કેસ ફરીથી ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તેનું ધ્યાન ખેંચાયું ન હતું. અભિનેત્રીએ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી પર પણ ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે.