Krishna Janmashtami In Mathura Dwarka Dakor Temple Darshan: કૃષ્ણ જન્માષ્ટમી તહેવારની મથુરા વૃંદાવન, દ્વારકા અને ડાકોર સહિત દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જન્માષ્ટમી પર રાતે 12 વાગે કૃષ્ણ મંદિરોમાં નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી ગગનભેદી નાદ સાથે ભકતો એ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી છે. જન્મ બાદ ભગવાન શ્રીકૃષ્ણનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યા છે. જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણ મંદિરોમાં લાઇટ અને ફુલોની સુંદર સજાવટ કરવામાં આવી છે. જન્માષ્ટમી નિમિત્તે શ્રીકૃષ્ણ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાઇનો લાગી હતી. ભક્તો કૃષ્ણમય થયા હતા.
મથુરા – વૃંદાવનમાં કૃષ્ણ જન્મોત્સવના વધામણાં
મથુરા – વૃંદાવનમાં કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ધાર્મિક માન્યતા અનુસાર મથુરામાં આઠમ સુદ આઠમની મધ્યરાત્રે 12 વાગે જેલમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. મથુરાના પ્રસિદ્ધિ કૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા રાણીના વિશેષ શણગાર કરવામાં આવ્યા છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિર સહિત અન્ય મંદિરોમાં પણ રાતે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે.
દ્વારકા, ડાકોર અને શામળાજીમાં પણ જન્માષ્ટમીની ઉજવણી
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પણ જન્માષ્ટમીની ભક્તિ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી છે. દ્વારકા પ્રસિદ્ધ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશનો 12 વાગે જન્મોત્સવ ઉજવાયો. ત્યારબાદ પ્રભુનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. ભારે વરસાદ વચ્ચે પણ દ્વારકાધીશ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા.
ગુજરાતમાં દ્વારકા ઉપરાંત ડાકોરના રણછોડરાય મંદિર અને શામળાજીમાં પણ સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા. વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તોએ રણછોડરાયજીના દર્શન કરવા ડાકોર પહોંચ્યા છે.