World Television Day 2023 : દર વર્ષે 21 નવેમ્બરે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ટેલિવિઝન દિવસ’ ઉજવવામાં આવે છે. ટેલિવિઝન લોકોને એકબીજા સાથે કનેક્ટ અને જાણવામાં મદદ કરે છે. ટેલિવિઝન એ એક એવું માધ્યમ છે, જે લોકોને મનોરંજન, શિક્ષણ અને માહિતી પૂરી પાડે છે. ત્યારે આ અહેવાલમાં વર્લ્ડ ટેલિવિઝનના સંશોધક અને તેનો રસપ્રદ ઇતિહાસ વાંચો.
વર્લ્ડ ટેલિવિઝન ડે ઇતિહાસ
એવું કહેવાય છે કે ટેલિવિઝનની શોધ સ્કોટિશ એન્જિનિયર જોન લોગી બાયર્ડ દ્વારા વર્ષ 1924માં કરવામાં આવી હતી. જે બાદ વર્ષ 1927માં ફિલો ટેલર ફાર્નસ્વર્થ નામના 21 વર્ષીય શોધકે વિશ્વમાં સર્વપ્રથમ કાર્યરત ટેલિવિઝન બનાવ્યું હતું. શરૂઆતમાં ટીવી બ્લેક એન્ડ વ્હાઇટ હતું, પરંતુ વર્ષ 1928માં જોન લોગી બેયર્ડે રંગીન ટેલિવિઝનની શોધ કરી હતી. જોકે જાહેર પ્રસારણ વર્ષ 1940માં શરૂ થયું હતું.
વર્ષ 1996માં 21 અને 22 નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્રએ પ્રથમ વિશ્વ ટેલિવિઝન ફોર્મનું આયોજન કર્યું હતું. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ દર વર્ષે 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
ટેલિવિઝન ભારતમાં પહેલીવાર 15 સપ્ટેમ્બર 1959ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે સમયે ટેલિવિઝનએ દેશને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એ જમાનામાં ‘હમ લોગ’, ‘બુનિયાદ’, ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવા લોકપ્રિય શો ટેલિવિઝન પર આવતા હતા, જે જોવા માટે ટીવી સામે લોકોની ભીડ એકઠી થતી હતી.
ભારતની પ્રથમ ટીવી સિરિયલ ‘હમ લોગ’ હતી. આ સિરિયલ ફિલ્મ અભિનેતા અશોક કુમાર દ્વારા બનાવવામાં આવી હતી. મનોજ પાહવા, સીમા પાહવા, દિવ્યા સેઠ શાહ, સુષ્મા સેઠ, રાજેશ પુરી, વિનોદ નાગપાલ, લવલીન મિશ્રા, જયશ્રી અરોરા જેવા ઘણા કલાકારોએ આ સિરિયલમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ સિરિયલનો છેલ્લો એપિસોડ 17 ડિસેમ્બર 1985ના રોજ ટેલિકાસ્ટ થયો હતો. આ સિરિયલે તે સમયે ઘણી વાહવાહી મેળવી હતી. આ પછી ધીમે-ધીમે ટીવી પર બીજી ઘણી સિરિયલોના પ્રસારણની પ્રક્રિયા પણ શરૂ થઈ.
ટેલિવિઝન માહિતી અને શિક્ષણનો મુખ્ય સ્ત્રોત છે. જે લોકોની નિર્ણય લેવાની ક્ષમતાને પણ પ્રભાવિત કરે છે. કારણ કે તે વિશ્વમાં થઈ રહેલા સંઘર્ષો તરફ લોકોનું ધ્યાન દોરે છે. ભારતમાં ટીવીનો ઈતિહાસ ઝડપથી વિકસતું સામૂહિક માધ્યમ રહ્યું છે.