Mehul Choksi Arrested : પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ફરાર ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ કરી લેવામાં આવી છે. મેહુલ ચોકસીની બેલ્જિયમથી ધરપકડ કરવામાં આવી છે. મેહુલ ચોક્સી હાલ પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમના એન્ટવર્પમાં રહે છે. પીટીઆઈ દ્વારા ટાંકવામાં આવેલા સૂત્રોના જણાવ્યા મુજબ, ધરપકડ માટે ઇન્ટરપોલ રેડ નોટિસ ઇશ્યૂ કરવામાં આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI સહિતની ભારતીય એજન્સીઓએ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે અરજી કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, 65 વર્ષીય ચોક્સીની સીબીઆઈની વિનંતી બાદ શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. મેહુલ ચોક્સી હાલ જેલમાં છે. પોલીસે મેહુલ ચોક્સીની ધરપકડ કરતી વખતે મુંબઈની એક અદાલતે તેની સામે જારી કરેલા બે ઓપન એન્ડેડ ધરપકડ વોરંટનો ઉલ્લેખ કર્યો હતા. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે કે, આ વોરંટ 23 મે, 2018 અને 15 જૂન, 2021 ના રોજ જારી કરવામાં આવ્યા હતા.
બેલ્જિયમના ફેડરલ પબ્લિક સર્વિસ (એફપીએસ)ના પ્રવક્તા ડેવિડ જોર્ડન્સે કહ્યું છે કે સરકાર આ મામલે નજીકથી નજર રાખી રહી છે અને અમે તેના પર ધ્યાન આપી રહ્યા છીએ.
મેહુલ ચોક્સીની ભારતને પ્રત્યાર્પણ કરવા માંગ
ભાગેડુ બેંક ડિફોલ્ટર મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થયા બાદ હવે ભારતને પ્રત્યાર્પણ કરવાની માંગ કરવામાં આવી શકે છે.અખબાર એસોસિયેટેડ ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો કે ભારતે બેલ્જિયમને ચોક્સીના પ્રત્યાર્પણની શરૂઆત કરવા વિનંતી કરી છે, જોકે ભારત દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી. મેહુલ ચોકસીને 13,850 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (પીએનબી) ફ્રોડ કેસમાં સીબીઆઈ અને ઈડીની વોન્ટેડ લિસ્ટમાં છે.
મેહુલ ચોક્સી અને નીરવ મોદી 14000 કરોડના બેંક કૌભાંડના આરોપી
મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક પાસેથી નકલી લેટર ઓફ અંડરટેકિંગનો ઉપયોગ કરીને 13,850 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે અને તેણે ભારતને પ્રત્યાર્પણ કરવાનો વિરોધ કર્યો છે. મેહુલ ચોક્સી અને નીરવ મોદી જાન્યુઆરી 2018માં પીએનબી કૌભાંડમાં તેમના નામ સામે આવ્યાના અઠવાડિયા પહેલા જ ભારત છોડીને ભાગી ગયા હતા.
અહેવાલો અનુસાર, મેહુલ ચોક્સીએ બેલ્જિયમમાં રહેવા માટે અરજી કરવા અને ભારત તરફથી પ્રત્યાર્પણનો વિરોધ કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. એટલું જરૂર કહી શકાય કે મેહુલ ચોકસીએ હજુ સુધી પોતાની ભારતીય નાગરિકતા છોડી નથી.
મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાં રહેતો હોવાનું કહેવાતું હતું, પરંતુ બાદમાં તે બેલ્જિયમ પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. મેહુલ ચોક્સી 2021 માં એન્ટિગુઆથી ગુમ થયો હતો અને એવી અટકળો ચાલી રહી હતી કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે પરંતુ ભાગેડુ ઉદ્યોગપતિ પાછળથી ડોમિનિકામાં મળી આવ્યો હતો.
મેહુલ ચોક્સીની પત્ની પાસે બેલ્જિયમની નાગરિકતા
ભાગેડુ મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોકસી પાસે બેલ્જિયમની નાગરિકતા છે. આ દરમિયાન તેણે પણ એક રેસિડેન્સી કાર્ડ મેળવ્યું છે અને તેના આધારે જ પોતાની પત્ની સાથે રહે છે. મેહુલ ચોક્સી બેલ્જિયમ જવાની પહેલા એન્ટીગુઆ અને બારબુડામાં રહી ચૂક્યો છે.